India vs Sri Lanka 3rd ODI India Playing 11: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે (07 ઓગસ્ટ) રમાશે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. શ્રીલંકા સીરીઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચ જીતીને સીરીઝ બરાબરી કરવા ઈચ્છશે જ્યારે શ્રીલંકા જીતીને સીરીઝ જીતવા ઈચ્છશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ ત્રણ ફેરફાર જોવા મળી શકે છે, જેમાં ઋષભ પંતનો પણ સમાવેશ થઈ શકે છે.


સીરીઝની અત્યાર સુધીની બંને વનડે મેચોમાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જ્યારે ઋષભ પંત બેન્ચમાં બેસેલો જોવા મળ્યો હતો. જોકે, હવે પંતને સીરીઝની ત્રીજી મેચમાં તક મળી શકે છે કારણ કે રાહુલે બંને મેચમાં ખાસ પ્રદર્શન કર્યું ન હતું. પ્રથમ મેચમાં રાહુલે 31 રનની ઇનિંગ રમી હતી. આ પછી બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તો ચાલો જાણીએ કે પંત સિવાય ટીમમાં અન્ય બે ફેરફાર શું હોઈ શકે છે.


રિયાન પરાગનું થઇ શકે છે ડેબ્યૂ 
ભારત માટે T20 ઈન્ટરનેશનલ રમી ચૂકેલા રિયાન પરાગ આજે શ્રીલંકા સામેની ત્રીજી ODIમાં પોતાની ODI ડેબ્યૂ કરી શકે છે. પરાગને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે. શિવમ દુબેની જગ્યાએ પરાગને તક મળી શકે છે. દુબેએ સીરીઝની બંને મેચો રમી હતી, જેમાં તેણે વધારે પ્રદર્શન કર્યું ન હતું. પ્રથમ મેચમાં દુબેએ 25 રનની ઇનિંગ રમી હતી અને 1 વિકેટ લીધી હતી. બીજી મેચમાં તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો અને તેને કોઈ વિકેટ પણ મળી ન હતી.


બૉલિંગ ડિપાર્ટમેન્ટમાં થઇ શકે છે ફેરફાર 
ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયામાં ત્રીજો ફેરફાર બોલિંગ વિભાગમાં જોવા મળી શકે છે. અહીં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની જગ્યાએ ખલીલ અહેમદને તક આપવામાં આવી શકે છે. ખલીલ અત્યાર સુધી માત્ર બેન્ચ પર જ બેસેલો જોવા મળ્યો છે.


શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી વનડેમાં ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ -11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), રિયાન પરાગ, વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ.