ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન રાઇસ બ્રાન રસોઈ તેલ સાથે એ તમામ જાહેરાતોને અટકાવી છે જેમાં ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી જોવા મળે છે. ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કંપનીની જાહેરાતોની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ ઘટનાક્રમથી વાકેફ બે અધિકારીઓએ આ માહિતી આપી છે.


કંપનીની જાહેરાતથી નજીક જોડાયેલા એક સૂત્ર દ્વારા જણાવામાં આવ્યું કે સૌરવ ગાંગૂલીવાળી જાહેરાતને બધા પ્લેટફોર્મ પરથી હાલ દૂર કરવામાં આવી છે. બ્રાંડની ક્રિએટિવ એજન્સી Ogivy & Mather આ મામલાને જોઇ રહી છે અને નવા કેમ્પન પર કામ કરી રહી છે.

સૌરવ ગાંગૂલીને ગત વર્ષે જાન્યુઆરીમાં Fortune Rice Bran ઓઇલનો બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવ્યો હતો. લોકડાઉન પીરિયડ દરમિયાન બનાવામાં આવેલ જાહેરાતમાં તેઓ હાર્ટની દેખરેખ રાખવાનું જણાવતા જોવા મળે છે.

ગાંગુલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલે સોમવારે ટ્વીટ કર્યું કે ગાંગુલીની હાલત સ્થિર છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ગાંગૂલીને હાર્ટ એટેક આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ ફોર્ચ્યુન બ્રાંડ સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગયું. લોકોએ બ્રાંડ એંડોર્સમેંટ પર સવાલ ઉભા કરવાનું શરુ કરી દીધું. તેઓનું કહેવું હતું કે Adani Wilmar તેલનું આયાત કરે છે અને ખબર નહીં સેલિબ્રિટીઝ જે વસ્તુઓની જાહેરાત કરે છે, તેઓ આ વસ્તુનો ઉપયોગ કરે છે કે નહીં.