મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.


રસપ્રદ વાત એ છે કે એઝાઝ પટેલે જે મેદાન પર આ સિદ્ધિ હાંસલ કરી છે તેવા મુંબઇમાં જ તેનો જન્મ થયો હતો. એઝાન પટેલનો જન્મ અને ઉછેર મુંબઇની જોગેશ્વરી વિસ્તારમાં છ વર્ષની ઉંમર સુધી થયો હતો. ત્યારબાદ 1996માં એઝાઝના માતા પિતા ન્યૂઝિલેન્ડ જતા રહ્યા હતા. શુક્રવારે તેના પરિવારના કેટલાક સભ્યો મુંબઇ સ્ટેડિયમમાં પેવેલિયનથી શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપતા જોવા મળ્યા હતા. તેના પિતરાઇ ભાઇ અને સંબંધીઓ મેચ જોવા પહોંચ્યા છે.


એઝાઝના પરિવાર પાસે હાલમાં પણ જોગેશ્વરીમાં એક ઘર છે. તેમની માતા શાહનાઝ પટેલ ઓશિવારા પાસે એક સ્કૂલમાં ભણાવતા હતા જ્યારે તેમના પિતા યુનુસ પટેલ રેફ્રિજરેશન બિઝનેસમાં હતા.  એઝાઝના પિતરાઇ ભાઇ ઓવૈસે કહ્યું કે કોરોના મહામારી અગાઉ તેમનો પરિવાર ભારતમાં વેકેશન માણવા આવતા હતા.


નોંધનીય છે કે એઝાઝે પોતાના કરિયરની શરાત ઓકલેન્ડથી કરી હતી પરંતુ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ટીમ સાથે રમ્યા બાદ જ આ ખેલાડીએ પોતાનો પ્રભાવ બતાવ્યો હતો. એઝાઝ ઓકલેન્ડ એ સાથે રમતો હતો પરંતુ તેને સફળતા મળી નહોતી. બાદમાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સાથે તે પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમતો હતો અને 2012માં ડેબ્યૂ કર્યું હતું. આ જ વર્ષે તેણે ટી-20માં ડેબ્યૂ કર્યું પરંતુ વન-ડે ક્રિકેટમાં રમવા માટે તેને ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેને સફળતા સ્થાનિક ક્રિકેટમાં સફળતાના આધારે મળ્યું હતું.