ઢાકાઃ કોરોના વાયરસના કારણે બંધ પડેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ અને સીરિઝ ફરીથી શરૂ કરવાને લઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ તથા તમામ દેશોના ક્રિકેટ બોર્ડ પ્રયાસ કરી રહ્યા છે. ICC એ તાજેતરમાં ખેલાડીઓની ટ્રેનિંગથી લઈ મેચના આયોજનને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં બોલ પર લાળના ઉપયોગ પર રોક લગાવવાનો ફેંસલો કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશના પ્રતિબંધિત ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું માનવું છે કે તેમાં સ્પષ્ટતા જરૂરી છે.


ઈએસપીએન ક્રિકઈન્ફોએ બાંગ્લાદેશી અખબાર પ્રોથોમ આલોમાં છપાયેલા શાકિબના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહ્યું, હવે આપણે સાંભળી રહ્યા છીએ કે કોરના વાયરસ માત્ર ત્રણ કે છ ફૂટથી નહીં પણ 12 ફૂટના અંતરેથી પણ ફેલાઈ શકે છે. જેનો મતબલ થયો કે ઓવર ખતમ થયા બાદ બેટ્સમેન એકબીજા પાસે નહીં જાય.  ક્રિકેટની સુરક્ષિત વાપસી માટે ખેલાડીઓ તથા અધિકારીઓની સુરક્ષા માટે અનેક સવાલના જવાબ આપવાની જરૂર છે. તેણે આઈસીસી દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પર વધારે સ્પષ્ટતાની વાત કરી હતી.

શાકિબે સ્ટેડિયમમાં દર્શકો અને મેદાનમાં ફિલ્ડિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેણે કહ્યું, શું બેટ્સમેન તેમના જ છેડે ઉભા રહેશે ? સ્ટેડિયમમાં કોઈ દર્શકો નહીં હોય? શું વિકેટકિપર પણ દૂર ઉભો રહેશે ? નજીકના ફિલ્ડરોનું શું થશે ? આ મુદ્દા પર ચર્ચા કરવાની વધારે જરૂર છે.

તેણે કહ્યું, આઈસીસી કોઈ પ્રકારનો ખતરો ઉઠાવવા માંગતી ન હોય તેમ મને લાગે છે. જે પણ હોય, જીવન પહેલા છે, મને વિશ્વાસ છે કે તે સુરક્ષા અંગે પહેલા વિચારશે.