નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા આગામી બૉક્સિંગ ડે ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરવાની છે, ખાસ વાત છે કે કોહલીની ગેરહાજરી વાળી આ ટીમ અજિંક્યે રહાણેની આગેવાનીમાં કાંગારુ ટીમ સામે ટકરાશે. બીસીસીઆઇએ એક દિવસ પહેલા જ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે.


વિરાટ કોહલી વિનાની ભારતીય ટીમમાં અજિંક્યે રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, વળી આ ટીમમાં વિકેટકીપર તરીકે ઋષભ પંતની એન્ટ્રી થઇ છે.



બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ-
અજિંક્યે રહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી પેટર્નલ લીવ પર બીજી ટેસ્ટ પહેલા ભારત પરત ફર્યો છે, જ્યારે સ્ટાર ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને ઇજા થતાં તે પણ ટીમમાંથી બહાર છે.

ટીમમાં શુભમન ગીલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ એમ ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.