Indian Cricket Team Head Coach:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફરી એકવાર રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કર્યા છે. વન વર્લ્ડ કપ 2023 પછી તેમનો કરાર સમાપ્ત થઈ ગયો હતો. હવે BCCIએ તેમનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો છે. સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની સાથે સ્પોર્ટ્સ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ લંબાવવામાં આવ્યો છે. મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ કેટલા દિવસ માટે વધારવામાં આવ્યો છે તેની માહિતી BCCIએ આપી નથી.






બીસીસીઆઈની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે "બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ સાથે તાજેતરમાં સમાપ્ત થયેલા વન-ડે વર્લ્ડ કપ 2023 બાદ કરાર અંગે ચર્ચા કરી હતી. તમામની સહમતિથી કરારને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો."                               


વધુમાં બોર્ડે કહ્યું કે બોર્ડ ભારતીય ટીમને તૈયાર કરવામાં રાહુલ દ્રવિડની ભૂમિકાને ઓળખે છે  અને તેમની અસાધારણ પ્રોફેશનલિઝમની પ્રશંસા કરે છે. બોર્ડ એનસીએના મુખ્ય કોચ અને ટીમ ઇન્ડિયાના સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની ભૂમિકાની પણ પ્રશંસા કરે છે. તેમની મહાન ઓનફિલ્ડ ભાગીદારીની જેમ જ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ વધાર્યું છે.


ફરી કોચ બનવા પર રાહુલ દ્રવિડે શું કહ્યું?


ભારતીય મુખ્ય કોચે કહ્યું હતું કે  “ભારતીય ટીમ સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન ટીમમાં સહકાર અને મિત્રતા અદભૂત રહી છે. અમે ડ્રેસિંગ રૂમમાં જે કલ્ચર સેટ કર્યું છે તેના પર ગર્વ છે. ટીમ પાસે જે કૌશલ્ય અને જુસ્સો છે તે અદભૂત છે અને અમે જેના પર ભાર મૂક્યો છે તે એ છે કે તમે યોગ્ય પ્રોસેસને ફોલો કરો અને તમારી તૈયારીને વળગી રહો, જેની સીધી અસર સમગ્ર પરિણામ પર પડે છે.” "હું બીસીસીઆઈનો મારા પર વિશ્વાસ મુકવા બદલ મારા વિઝનને સમર્થન આપવા બદલ આભાર માનું છું."