ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે. બંનેએ ગયા અઠવાડિયે લંડનમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. BCCI ના એક સૂત્રએ આ માહિતી આપી છે.


રવિવારે શાસ્ત્રી કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર જે શાસ્ત્રીના નજીકના સંપર્કમાં હતા સોમવારે પોઝિટિવ આવ્યા હતા. ટીમ ફિઝિયો નીતિન પટેલ હાલમાં આઇસોલેશનમાં છે.


ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, “ઈવેન્ટની તસવીરો બીસીસીઆઈના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી છે. બોર્ડ આ મામલાની તપાસ કરશે. આ બાબતે બોર્ડને શરમાવ્યું છે. ઓવલ ટેસ્ટ બાદ કોચ અને કેપ્ટનને સમગ્ર મામલે પ્રશ્નો પૂછવામાં આવશે. ટીમના વહીવટી મેનેજર ગિરીશ ડોંગરેની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.


બ્રિટિશ મીડિયા અનુસાર, ભારતીય ટીમે આ મામલે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી લીધી નથી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "BCCI આ બાબતે ECB ના સંપર્કમાં છે અને આગળ કોઈ સમસ્યા વિના શ્રેણી પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે." અત્યારે દરેકને આશા છે કે શાસ્ત્રી જલ્દી સાજા થઈ જશે. બુધવારે ટી-20 વર્લ્ડકપને લગતી પસંદગી બેઠક પણ છે. કદાચ આ મુદ્દો ત્યાં પણ ઉઠાવવામાં આવે.


મહેમાન ટીમના સભ્યોને એવી જગ્યાએ જવાની છૂટ છે જ્યાં વધારે ભીડ ન હોય. એક ઇવેન્ટ કે જ્યાં વધારે ભીડ હતી, ત્યાં હાજરી આપીને બંને બોર્ડને મુશ્કેલીમાં મૂકી દીધા છે.


અધિકારીએ કહ્યું કે, “તે કોઈ બોર્ડ દ્વારા આયોજિત સત્તાવાર કાર્યક્રમ નહોતો. આ બાબત વધુ પરેશાન કરનારી છે કારણ કે બોર્ડના સચિવ જય શાહે શ્રેણી પહેલા ટીમના દરેક સભ્યને પત્ર લખીને સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સૂચના આપી હતી. ટીમની આ હરકત બોર્ડને ગમી નથી.”


અલબત્ત, તે ચોક્કસપણે કહી શકાય નહીં કે શાસ્ત્રી તે કાર્યક્રમમાં હાજરી આપવાને કારણે બીમાર પડ્યા હતા. ટીમ અને ટીમ હોટેલમાં સહાયક સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી લિફ્ટ્સનો ઉપયોગ બાકીના મહેમાનો પણ કરે છે. જોકે, બોર્ડને લાગે છે કે આ ટાળી શકાયું હોત.


ટીમના દરેક સભ્યની રવિવારે તપાસ કરવામાં આવી હતી. સોમવારે બપોર સુધી પરિણામની રાહ જોવાતી હતી. ચેપગ્રસ્ત સપોર્ટ સ્ટાફ ટીમ સાથે માન્ચેસ્ટર નહીં જાય જ્યાં 10 સપ્ટેમ્બરથી શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાશે.


બંને ટીમો માન્ચેસ્ટરમાં વધુ કડક બાયોબબલમાં જશે. અધિકારીએ જણાવ્યું હતું કે, માન્ચેસ્ટરમાં સંપૂર્ણ બાયોબબલ હશે. પાંચમી ટેસ્ટ સમાપ્ત થયાના પાંચ દિવસ બાદ જ યુએઈમાં આઈપીએલ શરૂ થઈ રહી છે. ખેલાડીઓએ યુએઈમાં બાયોબબલ પર જવું પડશે. નહિંતર, તેઓએ યુએઈ પહોંચ્યા પછી ફરી એકવાર ક્વોરેન્ટાઇનમાં જવું પડશે. આશા છે કે જ્યારે ટીમ બાયોબબલમાં પ્રવેશે છે, ત્યારે વધુ કોઈ કેસ સામે નહીં આવે.