Vaibhav Suryavanshi debut: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસનની સતત નિષ્ફળતા બાદ ચાહકોથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજો વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવાની માંગ કરી રહ્યા છે. આ ચર્ચાઓ અને ટીમ મેનેજમેન્ટ પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે.

Continues below advertisement

ખરાબ ફોર્મ છતાં સેમસન પર મેનેજમેન્ટનો ભરોસો

નોંધનીય છે કે, યુકે પ્રવાસમાં રમાયેલી અત્યાર સુધીની 3 ઇનિંગ્સમાં સંજુ સેમસન માત્ર 6 રન જ બનાવી શક્યો છે. ખરાબ ફોર્મ છતાં ટીમ મેનેજમેન્ટે નિયમિત ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને સંજુ સેમસન પર પોતાનો ભરોસો કાયમ રાખ્યો છે. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પણ તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે યુવા ખેલાડી વૈભવને યોગ્ય સમયે તક ચોક્કસ મળશે, પરંતુ નિષ્ફળતાના સમયે ખેલાડીઓમાં વિશ્વાસ દર્શાવવો પણ મેનેજમેન્ટ માટે એટલું જ જરૂરી છે.

Continues below advertisement

BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શું કહ્યું?

'ટાઈમ્સ નાઉ'ના અહેવાલ મુજબ, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ મુદ્દે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, "અમે જાણીએ છીએ કે વૈભવ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેણે IPLમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. મેં ટીમ મેનેજમેન્ટ વિરુદ્ધ ચાલી રહેલી વાતો સાંભળી છે, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે પ્લેઈંગ ઈલેવનને લઈને અંતિમ નિર્ણય કોચ અને કેપ્ટન જ લેશે. જ્યારે તેમને લાગશે કે પરિસ્થિતિ અનુકૂળ છે, ત્યારે વૈભવને ચોક્કસપણે ડેબ્યૂ કરવાની તક આપવામાં આવશે."

આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ

સેમસન માટે વાગી ચેતવણીની ઘંટડી

સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ જેવા અનેક મહાન ક્રિકેટરો પણ વૈભવને વહેલી તકે મેદાનમાં ઉતારવાની તરફેણ કરી ચૂક્યા છે. જોકે, મેનેજમેન્ટ હજુ પણ સેમસનને પીઠબળ આપી રહ્યું છે, પરંતુ સેમસન માટે હવે ચેતવણીની ઘંટડી વાગી ચૂકી છે. ભૂતકાળના સારા પ્રદર્શનો કે અગાઉ ફટકારેલી અડધી સદીઓ તેને લાંબા સમય સુધી ટીમમાં ટકાવી શકશે નહીં. ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સેમસને વહેલામાં વહેલી તકે પોતાના ફોર્મમાં પરત ફરવું જ પડશે.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો