આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3થી મળેલી હાર અને શ્રેણી દરમિયાન ડ્રેસિંગ રૂમની વાતચીત લીક થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે BCCI ના સહાયક કોચ અભિષેક નાયરને હટાવી દીધા છે, જોકે તેમનો કાર્યકાળ ફક્ત 8 મહિના પહેલા જ શરૂ થયો હતો. નોંધનીય છે કે BGT શ્રેણી હાર્યા બાદ BCCI એ એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ ફરિયાદ કરી હતી કે ડ્રેસિંગ રૂમના સમાચાર બહાર આવી રહ્યા છે.

BCCI એ ભારતીય ટીમમાંથી 4 કર્મચારીઓને દૂર કર્યા છે, જેમાં સહાયક કોચ, ફિલ્ડિંગ કોચ, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ અને એક મસાજર સામેલ છે. દૈનિક જાગરણમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, સહાયક કોચ અભિષેક નાયર ઉપરાંત, ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નાયરના સ્થાને કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં કારણ કે સિતાંશુ કોટક પહેલાથી જ ટીમ ઈન્ડિયા સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલા છે. દિલીપનું કામ સહાયક કોચ રેયાન ટેન ડેસ્કાટ જોશે.

ટ્રેનર સોહમ દેસાઈનું સ્થાન એડ્રિયન લી રૂ લેશે, જે હાલમાં આઇપીએલમાં પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલા છે. તે 2008 થી 2019 સુધી કોલકત્તા ટીમ સાથે હતા અને તેમણે 2002 થી 2003 સુધી ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું હતું. તેમણે બીસીસીઆઇ સાથે કરાર કર્યો છે.

BGT શ્રેણી વિવાદોથી ઘેરાયેલી હતી

ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-3 થી હારી ગઈ હતી. આ સીરિઝમાં અશ્વિને અચાનક નિવૃત્તિ લીધી. રોહિત શર્માએ સિડની ટેસ્ટમાંથી પોતાને બહાર કરી દીધો હતો, ત્યારબાદ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે ટીમમાં બધુ બરાબર નથી. ભારતીય ડ્રેસિંગ રૂમમાંથી પણ સમાચાર આવ્યા, જેનાથી મામલો વધુ ગરમાયો. એક સભ્યએ આ અંગે BCCI ને ફરિયાદ પણ કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે શરમજનક પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડે ટેસ્ટ શ્રેણીમાં ભારતને 3-0થી હરાવ્યું.