નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાના કારણે ક્રિકેટ ગતિવિધિઓ સદંતર બંધ થઇ ગઇ છે. ત્યારે ક્રિકેટ ફેન્સના મનમાં આઇસીસી ટી20 વર્લ્ડકપના આયોજનને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારો ક્રિકેટ ટી20 વર્લ્ડકપ અધ્ધરતાલ છે.


કેમકે ગુરુવારે યોજાયેલી આઇસીસીની સીઇસી મીટિંગમાં પણ ટી20 વર્લ્ડકપને લઇને કોઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે પોતાનુ નિવેદન આપ્યુ છે.

બીસીસીઆઇના એક અધિકારીએ આઇસીસી ટી20 વર્લ્ડકપને લઇને કહ્યું કે, હાલ આ વર્ષે ટી20 વર્લ્ડકપની સંભાવના બિલકુલ નહીવત છે. જો પરિસ્થિતિ સામાન્ય થશે તો ધ્યાન રાખવામાં આવશે.



અધિકારીએ કહ્યું કે, ઇમાનદારીથી કહુ તો ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડકપ રમાવવો મુશ્કેલ છે, કેમકે આવા સમયે લોકોને ભેગા કરવા વિશે વિચારવુ પણ મુશ્કેલ છે. વિદેશોમાં યાત્રા કરવી અત્યારે સુરક્ષિત નથી, એકવાર ટ્રાફિક ખુલી જાય, કોરોનાનો પ્રભાવ ઓછો થાય ત્યારે સમીક્ષા કરવામાં આવશે.



નોંધનીય છે કે, કોરોનાના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા બોર્ડ વર્લ્ડકપ રમાડવા માંગે છે, પણ આઇસીસી આ વાત પર હજુ સુધી કોઇ નિર્ણય પર આવી શકી નથી. વર્લ્ડકપના ભવિષ્ય પર કોઇપણ મોટો ફેંસલો ઓગસ્ટમાં જ થશે.