T20 World Cup 2022: ટી20 વર્લ્ડ કપ 2022 માટે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોક આઉટ મેચ રમાઇ રહી છે, આજની મેચ જીતીને આઇસીસી ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે બન્ને ટીમો દમ લગાવશે. પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાની ટીમે ન્યૂઝીલેન્ડને હાર આપીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી છે. હવે બીજી ટીમ માટે ભારતીય ટીમને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે, પરંતુ એડિલેડ ઓવલમાં આજે કોણ જીતશે તેને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે.


અમે તમને જણાવી રહ્યા છીએ એડિલેડ ઓવેલ સ્ટેડિયમ સાથે જોડાયેલું રસપ્રદ તથ્ય જેનાથી ટૉસ થતાં જ ખબર પડશે કે મેચ કઈ ટીમ જીતી શકે છે.


T20I મેચ માટે આવો રહ્યો છે એડિલેડ ઓવલ મેદાનનો ઈતિહાસઃ -
ઓસ્ટ્રેલિયાના જાણીતા એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચોના પરિણામ અને ટોસ સાથે એક જોડાણ રહ્યું છે. જે મુજબ આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તે ટીમ મેચ હારી જાય છે. અત્યાર સુધી એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં કુલ 11 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાંથી તમામ 11 મેચો ટોસ હારનાર ટીમ જીતી છે. જેથી કહી શકાય છે કે, આ મેદાન પર જે ટીમ ટોસ જીતે છે તેની હાર થવાની પુરી શક્યતા છે. તેથી હાલ તો ભારતીય ક્રિકેટ ફેન્સ ટીમ ઈન્ડિયા ટોસ હારી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. 


નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારત 
સૌથી પહેલા 1987માં રમાયેલી 50 ઓવરના વર્લ્ડકપ બાદ આ પહેલીવાર બન્યુ છે, કે જ્યારે ટીમ ઇન્ડિયા કોઇ આઇસીસી ટૂર્નામેન્ટમાં નૉકઆઉટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાઇ રહી છે. 1987માં ઇંગ્લેન્ડે 35 રનોથી જીત હાંસલ કરી હતી. જોકે, અત્યારે બન્ને ટીમોમાં મોટા ફેરફારો થઇ ગયા છે, અને મનોવૈજ્ઞાનિક રીતે બન્નેના ખેલાડીઓ પણ જુદી જુદી અસર નીચે છે. જાણો એડિલેડની પીચ અને બન્ને ટીમોના આંકડા વિશે........ 


કેવી છે એડિલેડની પીચ ?
પીચ રિપોર્ટ અનુસાર, જે એડિલેડમાં ભારત અને ઇંગ્લેન્ડ ટકરાવવાના છે, ત્યાંની પીચ બેટિંગ માટે ખુબ જ સારી છે, ભારત આ મેદાન પર નેધરલેન્ડ્સને હરાવી ચૂક્યુ છે. અહીં પહેલી બેટિંગ કરનારી ટીમ 180+ સ્કૉર કરી શકે છે, ભારતે નેધરલેન્ડ્સ સામે 184 રનનો સ્કૉર કર્યો હતો. ખાસ વાત છે કે, મેદાનની સ્ક્વેર બાઉન્ડ્રી ખુબ નાની છે, એટલા માટે બૉલરોને લેન્થનું ધ્યાન રાખવુ પડશે, ફિલ્ડિંગની પ્લેસમેન્ટ પણ ખુબ મહત્વની રહેશે.