નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતાં પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. વાયરસના સંક્રમણથી બચવા ક્રિકેટરો ઘરમાં જ સેલ્ફ આઇસોલેશન કરી રહ્યા છે અને ફેન્સને પણ ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યા છે. આ દરમિયાન 2007ના ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં અંતિમ ઓવરમાં શાનદરા બોલિંગ કરીને ભારતને જીતાડનારો બોલર જોગિંદર શર્મા કોરોના વાયરસના ખતરા વચ્ચે ડ્યૂટી કરતો નજરે પડ્યો હતો.


ક્રિકેટથી દૂર થયા બાદ જોગિન્દર શર્મા હરિયાણા પોલીસમાં ડીએસપીના પદ પર છે. જેના કારણે તે સડકો પર ફરી રહેલા લોકોને ફરી ઘરે મોકલવાનું કામ કરી રહ્યો છે. તેણે તેના ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે આમ કરતો જોવા મળી રહ્યો છે.

લોકોને શું કરી અપીલ

જોગિંદર શર્માએ ફોટો પોસ્ટ કરીને તમામને સલાહ આપી છે અને કેપ્શનમાં લખ્યું કે, “ખુદનો બચાવ જ કોરોના વાયરસથી આપણને બચાવી શકે છે. સાથે મળીને તેની સામે લડીએ અને ઘરમાં રહીને અમારી મદદ કરો.”



વર્લ્ડકપ ફાઇનલની અંતિમ ઓવરમાં ધોનીએ આપી બોલિંગ ને.....

2007માં રમાયેલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં જોગિંદર શર્માએ અંતિમ ઓવર ફેંકી હતી અને પાકિસ્તાની દિગ્ગજ બેટ્સમેન મિસ્બાહ ઉલ હકને આઉટ કરી ભારતને જીત અપાવી હતી. ધોનીએ જોગિંદર શર્માને અંતિમ ઓવરમાં બોલિંગ આપી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા પરંતુ અંતિમ ઓવરના રોમાંચમાં જોગિંદર શર્માએ શાનદાર બોલિંગ કરીને ભારતને ટી-20 વર્લ્ડકપ જીતાડ્યો હતો.

કેવી છે જોગિંદર શર્માની ક્રિકેટ કરિયર

પોતાના કરિયરમાં જોગિંદર શર્માએ 4 વન ડે અને 4ટી-20 મેચ રમી હતી. ઈન્ટરનેશલ ક્રિકેટમાં તેના નામે માત્ર 5 વિકેટ જ છે. તેની ક્રિકેટ કરિયર ભલે લાંબી ન રહી હોય પરંતુ 2007 ટી-20 વર્લ્ડકપમાં ભારતની જીત માટે તેને જરૂર યાદ કરવામાં આવે છે.