IND vs ENG: વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સહ-આયોજિત ચાલી રહેલ ટી20 વર્લ્ડકપ 2024 હવે તેની ટોચ તરફ આગળ વધી રહ્યો છે. સુપર-8ની મેચો પૂરી થઈ ગઈ છે અને હવે સેમિફાઈનલ મેચ 27 જૂને રમાશે. પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યાથી રમાશે. જ્યારે બીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રૉવિડન્સમાં રાત્રે 8 વાગ્યે રમાશે. આ મેચમાં ભારતીય ટીમ પાસે ઈંગ્લેન્ડથી બદલો લેવાની સુવર્ણ તક છે.


ગઇ સેમિફાઇનલમાં ભારતને મળી હતી હાર 
ટી20 વર્લ્ડકપ 2022માં ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલર અને એલેક્સ હેલ્સના આગેવાનીમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતને કારમી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.


સુપર 8માં ટૉપ પર રહીને ભારતે કર્યુ ક્વૉલિફાય 
ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઈનલ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે અને ગ્રુપ સ્ટેજ બાદ તેણે સુપર એઈટમાં પણ ટોચ પર રહીને પુરી કરી છે. બીજી તરફ ઈંગ્લેન્ડે અમેરિકાને હરાવીને સેમિફાઈનલ માટે ક્વૉલિફાઈ કર્યું હતું. આ પહેલા પણ 2022માં બંને ટીમો છેલ્લા ચારમાં સામસામે આવી હતી જ્યાં ઈંગ્લેન્ડની ટીમ જીત નોંધાવવામાં સફળ રહી હતી.


ટી20 ક્રિકેટમાં ભારતનું ઇંગ્લેન્ડ પર પલડુ ભારે 
નૉકઆઉટ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર રોહિત શર્માના નેતૃત્વમાં જોસ બટલરની સેનાનો સામનો કરતી જોવા મળશે. ટી20 ક્રિકેટમાં બંને ટીમો 23 વખત ટકરાયા છે જેમાં ભારતનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયાએ 12 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 11 મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. તે જ સમયે, ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડનો ચાર વખત ભારતનો સામનો થયો છે. બંને ટીમોએ બે-બે મેચ જીતી છે.


કોહલી પાસે સારા પ્રદર્શનની આશા  
આ મેચમાં ભારતને ફરી એકવાર રોહિત શર્મા પાસેથી મજબૂત પ્રદર્શનની આશા છે. તેનું બેટ ઓસ્ટ્રેલિયા સામે જોરદાર ગર્જના કરતું હતું. તેણે 92 રનની તોફાની ઇનિંગ્સ રમીને સ્ટાર્ક અને પેટ કમિન્સને ટાર્ગેટ કર્યો હતો. આગામી મેચમાં પણ તેની પાસેથી આવા પ્રદર્શનની અપેક્ષા છે. વિરાટ કોહલી રોહિતને સપોર્ટ કરતો જોવા મળશે. જોકે, સ્ટાર બેટ્સમેનનું ફોર્મ ચિંતાનો વિષય છે. અત્યાર સુધી વર્તમાન ટૂર્નામેન્ટમાં તે માત્ર 66 રન જ બનાવી શક્યો છે. આ સ્થિતિમાં ફરી એકવાર યશસ્વી જાયસ્વાલને બહાર બેસવું પડી શકે છે. તેને હજુ સુધી પ્લેઈંગ 11નો ભાગ બનાવવામાં આવ્યો નથી.


સૂર્યા પર રહેશે નજર 
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ત્રીજા નંબર પર રહેશે. છેલ્લી છ મેચોમાં તેણે 132.53ના સ્ટ્રાઈક રેટથી 167 રન બનાવ્યા છે. સૂર્યાકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેણે બે અડધી સદીની મદદથી 149 રન બનાવ્યા છે. તે આગામી મેચમાં ભારત માટે સૌથી મોટી આશા હશે. શિવમ દુબે પાંચમા નંબરે ઉતરશે. આ સ્થિતિમાં સંજૂ સેમસનને બહાર બેસવું પડી શકે છે. આ સાથે જ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર ચમકતો જોવા મળશે. તે ટી20 વર્લ્ડકપમાં બોલ અને બેટથી ચમક્યો છે.


ભારતીય બૉલરોનો તરખાટ 
રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સ્પિન વિભાગમાં નિશ્ચિત છે. ત્રણેય બોલરોએ પોતાની ઘાતક બોલિંગથી વેસ્ટ ઈન્ડિઝની પીચો પર ખાસ અસર છોડી છે. વળી, જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળતો જોવા મળશે. અર્શદીપસિંહ તેને સપોર્ટ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા પણ ચાર ઓવરની બોલિંગ કરતો જોવા મળશે.


સેમિફાઇનલ મેચ માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ-11


ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપસિંહ.


ઈંગ્લેન્ડ ટીમ - ફિલ સૉલ્ટ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેયરર્સ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી.