નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવ્યા હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને વધારે મેચ રમવાના મોકા મળ્યા નથી. ઈજાના કારણે પણ તે ટીમ ઈન્ડિયામાંથી અંદર-બહાર થતો રહ્યો છે. જેના કારણે તે ફેબ્રુઆરી 2008માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ બાદ માત્ર 12 વન ડે અને ત્રણ ટી-20 મુકાબલા રમી શક્યો છે.


સોમવારે તિવારની પત્ની સુષ્મિતા રોયે આઈપીએલ ફ્રીક નામના ક્રિકેટ ફેન પેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો. જેમાં ભારતના ફ્લોપ ક્રિકેટર્સ ઇલેવનમાં બંગાળના આ ક્રિકેટરનું નામ ફણ સામેલ હતું. જે બાદ સુષ્મિતાએ પ્રોફાઇલ બનાવનારા વ્યક્તિ પર ગુસ્સે થઈ અને તથ્યની તપાસ કરવા કહ્યું.

તેણે કહ્યું, તમે જે પણ હો પરંતુ મારા પતિનું નામ ફ્લોપ ક્રિકેટરમાં નાંખવાની તમારી હિંમત કેવી રીતે થઈ. પહેલા તથ્ય જાણી લો તો સારું છે. લોકોએ આ પ્રકારની પોસ્ટ કરતાં પહેલા વિચારવું જોઈએ. જોકે તે બાદ તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું હતું.

ચાલુ વર્ષે તિવારીએ રણજી ટ્રોફીમાં બંગાળ માટે પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. 34 વર્ષીય આ ખેલાડીની  પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં સરેરાશે 50થી વધારે છે. ફર્સ્ટ ક્લાસની 196 ઈનિંગમાં 27 સદી અને 37 અડધી સદીથી તેણે 8965 રન બનાવ્યા છે. જ્યારે વન ડે ક્રિકેટમાં તેણે 153 ઈનિંગમાં છ સદી અને 40 અડધી સદીથી 5466 રન ફટકાર્યા છે.

બંગાળમાં જન્મેલો તિવારી આઈપીએલ-2012ની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો પણ હિસ્સો હતો. તેણે 7માં ક્રમે બેટિંગ કરતાં 3 બોલમાં 9 રન બનાવી કેકેઆરને ચેન્નઈ સામે 191 રનના ટાર્ગેટને હાંસલ કરવામાં મદદ કરી હતી. તિવારી એક દાયકાથી આઈપીએલ રમે છે. આઈપીએલની 98 મેચમાં 28.72ની સરેરાશથી 1,695 રન બનાવ્યા છે. જેમાં સાત અડધી સદી સામેલ છે.