નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનારા પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને લઈ ટ્વિટર પર એક હેશ ટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેમાં તેને માફી માંગવાનું કહેવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન યુવરાજ સિંહે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.


સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે યુવરાજ સિંહ ભારતના સ્પિન બોલર યુઝવેંદ્ર ચહલની મજાક ઉડાવતાં એવો શબ્દ બોલ્યો હતો કે તેનાથી એક સમાજના લોકો નારાજ થઈ ગયા હતા. રોહિત શર્મા પણ ચહલના ટિકટોક વીડિયોની મજાક ઉડાવતો હતો પરંતુ તેણે યુવરાજની જેમ વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો નહોતો.


પ્રતીક નામના એક યૂઝરે લખ્યું કે, આપણા દેશમાં દરેક સેલિબ્રિટી જાતિવાદથી ભરેલા છે. કેટલાક જાહેરમાં તેનો ખુલાસો કરે છે તો અમુક ભૂલથી પોલ ખોલી નાંખે છે. ભૂલથી યુવરાજ સિંહનો અસલી ચહેરો સામે આવી ગયો અને તે છે જાતિવાદનો.

યુવરાજ સિંહે ગત વર્ષે જૂનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ઓલરાઉન્ડર યુવરાજે ભારત માટે 304 વને ડેમાં 8701 રન બનાવવા સહિત 111 વિકેટ પણ લીધી છે. જ્યારે 58 ટી-20 મેચમાં 136.66ના સ્ટ્રાઇક રેટથી 1177 રન બનાવ્યા છે.