નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર તેની કેપ્ટનશિપ અને વિકેટકિપિંગ કુશળતા માટે જાણીતો છે. મેચમાં જીત બાદ પણ ધોની ઘણી ઓછી વખત હસતો જોવા મળ્યો હોવાનું ભારતીય ફેંસ જોઈ ચુક્યા છે. આ સ્થિતિમાં ધોનીને લઈ તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ ન લગાવી શકાય. આ વાતની જાણકારી પંજાબના ક્રિકેટર મંદીપ સિંહે પણ કરી છે.


પંજાબના ક્રિકેટર મંદીપ સિંહના લગ્નમાં સામેલ થવા ધોનીએ 3 ફ્લાઇટ્સ બદલી અને બાદમાં લોંગ ડ્રાઇવ કરીને આ ખેલાડીના લગ્નમાં પહોંચ્યો હતો. મંદીપ સિંહે ખુલાસો કર્યો કે, તેમણે અમને જણાવ્યું નહોતું કે આવશે કે નહીં. પરંતુ તે લગ્નના લોકેશન પર અડધા કલાક પહેલા જ પહોંચી ગયો હતો.

મંદીપ સિંહે કહ્યું, મારા લગ્ન  ડિસેમ્બર 2016માં થયા હતા. મેં માહી ભાઈને લગ્નમાં આવવા આમંત્રણ મોકલ્યું હતું. તેમણે મને કહ્યું કે, મારે કામથી ન્યૂયોર્ક જવાનું હોવાથી હું નહીં આવી શકું. પરંતુ તેમણે મારા લગ્નમાં આવીને મને ચોંકાવી દીધો. પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી મારા માટે સમય નીકાળ્યો, જે મારા માટે યાદગાર ક્ષણ બની ગઈ હતી.

મંદીપ સિંહે આગળ જણાવ્યું, તેમણે રાંચીથી દિલ્હી અને બાદમાં દિલ્હીથી અમૃતસર આવવાનું હતું. તેમણે 3 ફ્લાઇટ બદલવાની હતી અને ઠંડી તથા ધૂમ્મસમાં 2 કલાકની લોંગ ડ્રાઇવ કરીને લોકેશન પર પહોંચવાનું હતું. પરંતુ તેમણે આવીને મને ચોંકાવી દીધો. ધોનીએ માત્ર મારા જ નહીં સુરેશ રૈના અને ઈશાંત શર્માના લગ્નમાં જઈને પણ ચોંકાવી દીધા હતા.

મંદીપ સિંહે 2016માં ઝિમ્બાબ્વે સામે ધોનીની કેપ્ટનશિપમાં ટી-20 ડેબ્યૂ કર્યુ હતું. તેણે કહ્યું, ધોની એક લેજેન્ડ ક્રિકેટર છે અને પોતાનું સ્ટેટસ કોઈની સામે દેખાડતો નથી.