મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન રોમાંચક મૉડમાં પહોંચી ચૂકી છે. તાકાતવાળી ટીમોને હારનો સામનો કરવો પડી રહ્યો છે. ગઇકાલે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે માત્ર 10 રનથી હારનો સામનો કરવો પડ્યો છે, હાર બાદ ધોની નિરાશ થયો હતો, તેને હાર માટે સીધે સીધો બેટિંગ ઓર્ડરને જ જવાબદાર ગણ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં સીએસકેને 6 મેચોમાંથી 4 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને હાર માટે ધોનીએ બેટ્સમેનોને જવાબદાર ગણ્યા છે.


ખાસ વાત છે કે કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી મળેલા 168 રનના ટાર્ગેટના સામે ચેન્નાઇ સુપર કિંગ્સ મજબૂત સ્થિતિમાં હતી, સીએસકેએ એક સમયે 10 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને 90 રન બનાવી દીધા હતા. પરંતુ બાદમાં એકપછી એક વિકેટ પડવાથી સીએસકે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી, સીએસકે માત્ર 157 રન જ બનાવી શકી હતી.

10 રનથી હાર મળ્યા બાદ ધોનીએ કહ્યું કે, કોલકત્તાએ વચ્ચેની ઓવરોમાં સારી બૉલિંગ કરી, અંતિમ ઓવરોમાં અમારી બેટિંગ સારી હોત તો અમે પરિણામ લાવી શક્યા હોત. અમે નવા બૉલ સાથે ઘણા રન આપી દીધી, કર્ણ શર્માએ સારી બૉલિંગ કરી પરંતુ અમારા બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા હતા.

ધોનીએ કહ્યું અંતિમ ઓવરોમાં છેલ્લી ઓવરને છોડી દેવામાં આવે તો અમે બાઉન્ડ્રી ના લગાવી શક્યા. આવા સમયે તમારે વધુમાં વધુ બાઉન્ડ્રી ફટકારવાની જોઇએ. જે અમે ના કરી શક્યા.