નવી દિલ્હીઃક્રિસ શ્રીકાંત, ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ બાદ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફએ પણ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને પોતાનો મત રજૂ કર્યો હતો. કૈફે ધોનીનું સમર્થન કરતા કહ્યું કે આ વિકેટકીપર-બેટ્સમેનમાં હજુ ક્રિકેટ બાકી છે અને આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપમાં સામેલ ના કરવો તેની સાથે અન્યાય હશે. કોરોના વાયરસના કારણે આઇપીએલ 2020 અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. એવામાં અનેક દિગ્ગજનું કહેવું છે કે જો આઇપીએલ નહી યોજાય તો ધોનીની વાપસી મુશ્કેલ થઇ જશે. એવામાં કૈફે ધોનીની ટીમ ઇન્ડિયામાં વાપસીની વાત કરી હતી.


મોહમ્મદ કૈફે કહ્યુ કે, લોકોનું ધ્યાન એ વાત પર હતું કે ધોની આઇપીએલમાં કેવું પરફોર્મ કરે છે. બાદમાં જ ટી-20 વર્લ્ડકપની વાત થવાની હતી. પરંતુ મારો વિચાર છે કે ધોનીને આઇપીએલના ફોર્મ પરથી જજ કરવો જોઇએ નહી. તે એક મહાન બેટ્સમેન છે.  તે આઇપીએલ રમવા માંગતો હતો અને ચેન્નઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ કરવા માંગતો હતો. તે આઇપીએલમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માંગતો હતો.

કૈફે કહ્યુ કે, એટલા માટે મને લાગે છે કે તેને ટીમમાંથી બહાર કરવો યોગ્ય નથી. ધોનીએ 2019ના વર્લ્ડકપની સેમિફાઇનલમાં અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં જ ધોનીની નિવૃતિની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

મોહમ્મદ કૈફે કહ્યુ કે, વર્લ્ડકપની સેમિફાઇનલમાં અસફળતા છતાં મહેન્દ્રસિંહ ધોની ચેમ્પિયન ખેલાડી છે. સેમિફાઇનલમાં તમામ વ્યક્તિ એ આશા રાખી રહ્યો હતો કે ધોની ટીમને જીત અપાવશે પરંતુ એવું થઇ શક્યું નહી. મારા માટે ધોની એક ચેમ્પિયન ખેલાડી છે. લોકોએ ધોનીનો છેલ્લા 10-15 વર્ષનો રેકોર્ડ જોવો જોઇએ.