T20 World Cup 2022: પૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે કપિલ દેવે ભારતીય ટીમને લઈને વધુ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કપિલ દેવે કહ્યું કે, ભારતીય ટીમ પાસે આ વખતના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવાની માત્ર 30 ટકા તકો છે.


ઓલરાઉન્ડર ખેલાડીઓ હોય છે મહત્વનાઃ


કપિલ દેવે લખનૌમાં એક કાર્યક્રમમાં કહ્યું, “તમને ઓલરાઉન્ડર સિવાય તમારી ટીમમાં શું જોઈએ છે? ઓલરાઉન્ડર જે તમને માત્ર વર્લ્ડ કપ જ નહીં, અન્ય મેચો પણ જીતાડશે. હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી ક્રિકેટર છે. ઓલરાઉન્ડર કોઈપણ ટીમના મુખ્ય અને મહત્વના ખેલાડીઓ હોય છે. ટીમમાં હાર્દિક જેવા ઓલરાઉન્ડર બાદ રોહિત શર્માને છઠ્ઠા બોલર તરીકે તેનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. રવિન્દ્ર જાડેજા પણ ટીમનો પરફેક્ટ ઓલરાઉન્ડર ખેલાડી છે.


સેમિફાઇનલમાં પહોંચવાની તક માત્ર 30 ટકા


કપિલ દેવે આગળ કહ્યું, “અમારા સમયમાં પણ ટીમમાં ઘણા ઓલરાઉન્ડર હતા. T20 ક્રિકેટમાં જો ટીમ એક મેચ જીતે છે તો તે બીજી મેચ હારી પણ શકે છે. આવી સ્થિતિમાં ટીમની વર્લ્ડ કપ જીતવાની શક્યતા વિશે બોલવું ખોટું હશે. સૌપ્રથમ, ટીમ ટોપ-4 (સેમી-ફાઇનલ)માં સ્થાન મેળવી શકશે કે નહી તેની મને ચિંતા છે. જ્યાં સુધી આપણે સેમિફાઈનલમાં નહીં પહોંચીએ ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. મારા મતે, ટીમ પાસે ટોપ-4માં પહોંચવાના ચાન્સ માત્ર 30 ટકા છે.


નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય ટીમે તેની પ્રથમ વોર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, જે ટીમે 6 રનથી જીતી હતી. તે જ સમયે, ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ટીમ સુપર-12ની પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબર, રવિવારે પાકિસ્તાન સામે રમશે.


તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદના કારણે રદ થઈ તે પહેલાં પણ અન્ય દેશોની રમતોમાં વરસાદ વિલન બની ચુક્યો છે. દક્ષિણ આફ્રિકાની બાંગ્લાદેશ સામેની બીજી અભ્યાસ મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંક્યા વગર રદ્દ થઈ હતી જ્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચમાં વરસાદના કારણે કોઈ પરિણામ નિકળ્યું નહોતું.


પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 62 રનથી હરાવનાર અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ પર 154 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ ટાર્ગેટમાં સામે 2.2 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા 19 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદ શરુ થઈ ગયો હતો અને મેચ આગળ વધી શકી નહોતી.