ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. પંડ્યા ઈજાને કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. પરંતુ હવે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા માટે રમશે. બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ના એક આંતરિક સૂત્રએ IANS ને આ વાતની પુષ્ટી કરી છે. 

Continues below advertisement

શ્રીલંકા સામે એશિયા કપ સુપર ફોર મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે મેદાનમાં પાછો ફર્યો નથી. તેની ઈજાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામે મર્યાદિત ઓવરની શ્રેણીમાં રમી શક્યો ન હતો. તે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વન-ડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. આ ઓલરાઉન્ડરને હવે તેનું રિટર્ન ટુ પ્લે (RTP) ક્લિયરન્સ મળી ગયું છે અને હાલમાં તે બેંગલુરુમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે.

BCAના એક અધિકારીએ IANSને જણાવ્યું હતું કે, "ક્રિકેટમાંથી લાંબા વિરામ બાદ હાર્દિક પંડ્યા બરોડા માટે રમવા માટે પાછો ફરી રહ્યો છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અમારા માટે આગામી કેટલીક મેચ રમશે. હાર્દિક પંડ્યાએ ભારત માટે 11 ટેસ્ટ, 94 વનડે અને 120 ટી20 મેચ રમી છે. તેમણે 29 ફર્સ્ટ-ક્લાસ મેચ અને 118 લિસ્ટ એ મેચ પણ રમી છે.

Continues below advertisement

કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ બરોડા મંગળવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ સામે ટકરાશે, ત્યારબાદ 4 ડિસેમ્બરે ગુજરાત સામે ટકરાશે. ટીમ 8 ડિસેમ્બરે સર્વિસિસ સામે રમશે. હાર્દિક પંડ્યા તેના ભાઈ કૃણાલની ​​કેપ્ટનશીપ હેઠળની ટીમમાં જોડાશે. ભારતીય ટીમ 9 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી20 શ્રેણી રમશે. શ્રેણી માટે પસંદગી પામવા માટે હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે.

બરોડા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પોતાની પહેલી મેચ બંગાળ સામે છ વિકેટથી હારી ગયું હતું. ત્યારબાદ તેમને પુડુચેરી સામે 17 રનથી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમની ત્રીજી મેચમાં તેઓએ હિમાચલ પ્રદેશ સામે પાંચ વિકેટથી જીત મેળવી હતી.