ICC Women T20 World Cup 2020: ભારતની હાર બાદ હરમનપ્રીત કૌરે કહ્યુ- મને મારી ટીમ પર વિશ્વાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Mar 2020 08:27 PM (IST)
ભારતીય કેપ્ટને કહ્યું કે, મને હજુ પણ મારી ટીમ પર વિશ્વાસ છે. આવનારા દોઢ વર્ષ અમારા માટે મહત્વપૂર્ણ છે
નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યુ કે ટીમ યોગ્ય દિશામા આગળ વધી રહી છે પરંતુ મોટી મેચમાં કેવી રીતે રમવું તેના પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યુ કે, જે રીતે અમે લીગ મેચમાં પ્રદર્શન કર્યું તે શાનદાર હતુ. પરંતુ આ મેચમાં કેટલાક કેચ છોડવા દુર્ભાગ્યપૂર્ણ રહ્યા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 99 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય કેપ્ટને કહ્યું કે, મને હજુ પણ મારી ટીમ પર વિશ્વાસ છે. આવનારા દોઢ વર્ષ અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારું ભવિષ્ય અમારા માટે મહત્વપૂર્ણ છે. અમારા પર વિશ્વાસ કરવા અને કેટલાક ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. ખાસ કરીને ફિલ્ડિંગમાં. ટીમ ઇન્ડિયા 2018માં વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી હતી અને આ વર્ષે તે રનર્સ અપ રહી હતી. વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 85 રનથી હાર આપી રેકોર્ડ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ટીમ ઇન્ડિયા પ્રથમવાર ફાઇનલમાં પહોંચી હતી. હરમનપ્રીતે કહ્યું કે અમે આગળ વધુ મહેનત કરીશું. દર વર્ષે અમે સુધારો કરી રહ્યા છીએ.