નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર આર અશ્વિને ઇંગ્લન્ડ વિરૂદ્ધ રમાનાર ટેસ્ટ સીરીઝ પહેલા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને એક ચેલેન્જ આપી છે. અશ્વિને બેટિંગ કોચ વિક્રમ રાઠોર સાથે વાત કરતાં એક ખાસ પડકાર આપતા કહ્યું કે, જો પૂજારા આ કામ કરશે તો તે પોતાની અડધી મૂછ મુંડાવી દેશે.


ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલ હાલની સીરીઝમાં સતત બાઉન્સનો સામનો કર્યા બાદ પણ કોઈ દીવાલની જેમ જ મેદાન પર ઉભા રહેલ પૂજારાએ ટીમની જીતનો પાયો નાંખ્યો હતો. ભારતીય ટીમની બીજી દીવાલ તરીકે ઓળખ ધરાવનારા આ બેટ્સમેનને હવામાં શોટ રમવામાં ભાગ્યે જ કોઈએ જોયો હશે. અશ્વિને ભારતના બેટિંક કોચને આ વાતનો પડકાર ફેંક્યો છે. તેણે કહ્યું કે, જો પૂજારા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં સ્પિનરને આગળ વધીને હવામાં શોટ રમવા માટે મનાવી લે તો તે અડધી મૂંછ મુંડાવી દેશે.

આ વાત ત્યારે બહાર આવી જ્યારે રાઠોરને અશ્વિને સવાલ કર્યો કે આખરે પૂજારાને ક્યારે તેઓ કોઈ સ્પિનર વિરૂદ્ધ હવામાં શોટ ફટકારતા જોશે?

ભારતીય કોચે જવાબમાં કહ્યું કે, તેઓ હજુ પૂજારાને આ વાત માટે મનવાવામાં લાગ્યા છે. તેમણે ઘણી વખત આવા શોટ મારવા માટે પૂજારાને કહ્યું છે પરંતુ તે તેના અનેક કારણ ગણાવી દે પરંતુ આ પ્રકારના શોટ નથી રમતા. ત્યાર બાદ અશ્વિને તેની સામે મજાક મજાકમાં એ પડકાર રાખ્યો કે જો ઇંગ્લેન્ડની સામે રમાનાર સીરીઝ દરમિયાન કોઈ સ્પિનરને ક્રીઝની બહાર નીકળીને હવામાં શોટ ફટકારશે તો તે પોતાની અડધી મૂંછ મુંડાવી દેશે. એટલું જ નહીં અડધી મૂંછ સાથે તે મેદાન પર રમવા આવશે એ વાતની ચેલેન્જ પણ સ્વીકારી છે.

રાઠોરે અશ્વિનની ચેલેન્જને મજેદાર ગણાવતા કહ્યું કે, આ ખરેખર શાનદાર પડકાર છે. મને આશા છે કે પૂજારા તમારા આ શાનદાર પડકારને સ્વીકારશે.