નવી દિલ્હી: ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમન ઈયાન બેલે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં ચાલી રહેલી ક્રિકેટ સીઝનના અંતમાં ઈયાન બેલ પોતાના પ્રોફેશનલ ક્રિકેટ કેરિયરને અલવિદા કહી દેશે. 38 વર્ષીય ઈયાન બેલે 2004માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે 118 ટેસ્ટ, 161 વનડે અને 8 ટી20 મેચ રમી છે.
પોતાના સંન્યાસની જાહેરાત કરતા ઈયાને કહ્યું કે, ક્રિકેટ પ્રત્યે તેમની ભૂખ હજું ઓછી નથી થઈ પણ શરીર હવે આ રમત માટે સંઘર્ષ કરી રહ્યું છે. બેલનો દેશને પાંચ એશેઝ જીતાડવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. ઈયાન બેલે 22 સદી, 46 અડધી સદીની મદદથી ક્રિકેટના સૌથી લાંબી ફોર્મેટમાં 7000થી વધુ રન બનાવ્યા છે. તે 2000ના દાયકાના અંત ને 2010ની શરૂઆતમાં ઈંગ્લેન્ડની બેટિંગમાં મહત્વના ખેલાડી હતા.




પોતાના દેશ માટે ઈયાને છેલ્લી મેચ 2015માં રમી હતી. તે કાઉન્ટી ક્રિકેટમાં વારવિકશાયર માટે રમી રહ્યો છે અને ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ સક્રીય રહે છે. ઈયાન બેલે આગામી અઠવાડિયામાં પોતાની અંતિમ ટી20 મેચ રમશે. આ સીઝનમાં રિટાયર થનારા ત્રણ વારવિકશાયર ખેલાડીઓમાંથી એક હશે, જેમાં ટીમ એમ્બ્રોસ અને જીતન પટેલ અન્ય બે સામલ છે.