T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટમાં ઘણી વસ્તુઓ અને નિયમો બદલાતા જોવા મળશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) જે સૌથી મોટો ફેરફાર કર્યો છે તે કોરોના સંક્રમણ સાથે સંબંધિત છે. જ્યારથી કોરોના આવ્યો છે, ત્યારથી જે ખેલાડી કોરોના થાય છે તેને અમુક દિવસો માટે અલગ રાખવા (Isolation) પડે છે. જો કે હવે ICCએ આ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. તે પ્રમાણે હવે કોરોના સંક્રમિત ખેલાડીઓને પણ વર્લ્ડ કપમાં રમવાની મંજૂરી આપવામાં આવશે.


ટીમના ડોક્ટર જ લેશે નિર્ણયઃ


આ અઠવાડિયાની શરૂઆતમાં, ઓસ્ટ્રેલિયન સરકારે કોરોના સંક્રમિત લોકોના આઇસોલેશનને સમાપ્ત કર્યું. હવે આઈસીસીએ વર્લ્ડ કપ રમી રહેલા ખેલાડીઓ માટે પણ આવું જ કરવાનો નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટ દરમિયાન ફરજિયાત ટેસ્ટિંગ પણ કરવામાં નહી આવે. જો કોઈ ખેલાડી કોરોના સંક્રમિત થાય છે, તો ટીમના ડૉક્ટરે તેને રમવા માટે કે આરામ આપવાનો નિર્ણય લેવાનો રહેશે. ખેલાડીને મેદાનમાં ઉતારવો કે બાકીનાથી અલગ કરવો તેની સંપૂર્ણ જવાબદારી ટીમના ડોક્ટર લેશે. આ ફેરફાર બાદ વર્લ્ડ કપ રમતી તમામ ક્રિકેટ ટીમોને ફાયદો થશે. ટીમનો કોઈ પણ ખેલાડી કોરોના પોઝિટીવ હોવા છતાં જો રમવા માટે સક્ષમ હશે તો મેચ રમી શકશે. 


ગત T20 વર્લ્ડ કપ બાયો-બબલ સાથે રમાયોઃ


ગત વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપ માટે કડક નિયમો સાથે બાયો બબલ બનાવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેલાડીઓ બબલની બહાર જઈ શકતા ન હતા અને બહાર કોઈને મળી શકતા ન હતા. ગયા વર્ષના વર્લ્ડ કપમાં પણ જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટીવ આવે તો તેને એક અઠવાડીયા માટે આઈસોલેટ કરવાનો નિયમ હતો. જો કે, સદભાગ્યો ગયા વર્ષે કોરોનાના એવા કોઈ કેસ નહોતા આવ્યા જે ટૂર્નામેન્ટને અસર કરે.


કોરોના સંક્રમિત મહિલા ક્રિકેટર કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં રમી હતી


આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર તાલિયા મેકગ્રા ફાઈનલની સવારે કોરોના પોઝિટીવ આવી હતી, પરંતુ તેને ફાઈનલમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી.