ICC Knockout Matches: હવે આઇસીસી વનડે વર્લ્ડકપની ફાઇનલ મેચનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે, પરંતુ આ પહેલા કેટલાક આંકડા જાણી લેવા ખુબ જ જરૂરી છે. જ્યારે ભારતીય ટીમે 8 ઓક્ટોબરે ODI વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમી ત્યારે કોઈએ આગાહી કરી ન હતી કે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પણ આ બંને ટીમો વચ્ચે રમાશે. હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે, જેને 5 વખત આ ટ્રૉફી જીતી છે. આઈસીસી નૉકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ અત્યાર સુધી ખુબ સારો રહ્યો છે અને તેથી જ ભારતીય ટીમ માટે તેને હરાવવાનું આસાન નથી. જો કે, ટીમ ઈન્ડિયા અત્યાર સુધી આઈસીસી નૉકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાને ચાર વખત હરાવી ચૂકી છે. જાણો અહીં આંકડા...


ભારતે ત્રણ વાર વનડેમાં અને એકવાર ટી20 નૉકઆઉટમાં ઓસ્ટ્રેલિયાને આપી છે માત
ICC નૉકઆઉટ મેચોમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવો કોઈપણ ટીમ માટે આસાન નથી. જોકે, ICCની વિવિધ ઈવેન્ટની નૉકઆઉટ મેચોમાં ભારતે ચાર વખત કાંગારૂ ટીમને હરાવ્યું છે. 1998માં જ્યારે ચેમ્પિયન્સ ટ્રૉફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો ત્યારે ટીમ ઈન્ડિયાએ 44 રને મેચ જીતી હતી. આ પછી, બીજીવાર ભારતે ICC નૉકઆઉટમાં 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું.


2007 T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમનો સામનો મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે થયો હતો. આ મેચમાં યુવરાજ સિંહે શાનદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ભારતીય ટીમે મેચ જીતી લીધી હતી અને ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી હતી. છેલ્લી વખત ભારતે ICC નૉકઆઉટમાં ઓસ્ટ્રેલિયાને 2011 વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદના આ જ મેદાન પર 5 વિકેટે હરાવ્યું હતું.


રોહિત અને કોહલી પર રહેશે તમામની નજર 
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમના બે મુખ્ય ખેલાડીઓ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર તમામની નજર ટકેલી છે. અત્યાર સુધી બંને ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં કોહલીએ 700થી વધુ રન બનાવ્યા છે જ્યારે રોહિતે પણ 500થી વધુ રન બનાવ્યા છે.