IND vs ENG 4th Test:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.


ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય બાદ આગામી ગુરુવારથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.


ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ શરણાગતિ


ભારતની બીજી ઈનિંગ 278 રન પર સમેટાઈ ગઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સર્વાધિક 91 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સને સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી.


ત્રીજા દિવસે પુજારાનો રેકોર્ડ


છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મને કારણે ટીકાકારોનું નિશાન બનેલા દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ત્રીજા દિવસે જબરજસ્ત બેટીંગ કરતાં ફોર્મ મેળવ્યું હતુ. રોહિત સાથે મહત્વની ભાગીદારી નોંધાવ્યા બાદ તેણે કોહલીની સાથે મળીને ઈંગ્લેન્ડની જંગી સરસાઈને ઉતારવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. આ દરમિયાન તેણે કારકિર્દીની ૩૦મી અડધી સદી પણ પૂર્ણ કરી હતી. પુજારાએ અડધી સદી ફટકારવામાટે ૯૧ બોલ લીધા હતા પુજારાએ ફિફ્ટી ફટકારવાની સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે એશિયાની બહાર સૌથી ઝડપી ફિફ્ટી ફટકરી હતી.


પ્રથમ દિવસે ભારતીય ટીમ 78 રનમાં જ થઈ ગઈ તંબુ ભેગી


મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. ભારતની પ્રથમ ઈનિંગ પ્રથમ દિવસે માત્ર 78 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન જો રૂટની સદીની મદદથી 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી.