શ્રીલંકા સામેની વનડે સીરિઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે રમાનારી સીરિઝ પર છે. પહેલા બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝનું આયોજન કરવામાં આવનાર છે. વન-ડે સીરિઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.


ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાના ઘરઆંગણે વનડેમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ અત્યારે જે પ્રકારે ફોર્મમાં છે તેને જોતા રોહિત બ્રિગેડ ન્યૂઝીલેન્ડને પણ હરાવે તેવી આશા રાખવામાં આવી રહી છે. જો કે, ન્યૂઝીલેન્ડની ટીમ પણ ફોર્મમાં છે અને તેણે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનને તેના ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.


ડિસેમ્બર 1988માં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડે તેની ધરતી પર ભારત સામેની વન-ડે સીરિઝ રમી હતી. દિલીપ વેંગસરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમે તે શ્રેણીની ચારેય મેચ જીતી હતી. આ પછી વર્ષ 1995માં મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપમાં ભારતે પાંચ મેચોની શ્રેણી 3-2થી જીતી હતી. ચાર વર્ષ પછી 1999માં સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ભારતે કિવિઓને 3-2ના માર્જિનથી હરાવ્યું હતા.


ભારતનું વર્ચસ્વ 34 વર્ષથી જળવાઈ રહ્યું છે


આ પછી ન્યૂઝીલેન્ડ લાંબા સમય બાદ વર્ષ 2010માં વનડે શ્રેણી માટે ભારત આવ્યું હતું. તે પાંચ મેચની શ્રેણીમાં ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો સફાયો કર્યો હતો. ત્યારપછી વર્ષ 2016માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં અને 2017માં પણ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ન્યૂઝીલેન્ડને તેના ઘરે વન-ડે શ્રેણીમાં હરાવ્યું હતું. એટલે કે, અત્યાર સુધી ભારતે ન્યૂઝીલેન્ડ સામે તેના ઘરઆંગણે છ વનડે શ્રેણી રમી છે અને તે તમામ જીતી છે. એટલે કે 34 વર્ષ વીતી ગયા પરંતુ ન્યૂઝીલેન્ડ હજુ સુધી ભારતમાં વનડે શ્રેણી જીતી શક્યું નથી.


બંને દેશો વચ્ચે 113 વન-ડે મેચ રમાઈ છે


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 113 વનડે રમાઈ છે, જેમાં ભારતે 55 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. સાત મેચનું પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈ પર રહી હતી. બંને ટીમોની છેલ્લી વન-ડે શ્રેણી થોડા મહિના પહેલા રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને તેના ઘરઆંગણે 1-0થી હરાવ્યું હતું. તે વન-ડે સીરિઝનું T20 વર્લ્ડ કપ 2022 બાદ કરવામાં આવ્યું હતું અને શિખર ધવને ODIમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.


ત્રણ મેચોની હશે વનડે સીરીઝ 


 ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની શરૂઆત વનડે સીરીઝથી થશે. બન્ને ટીમોની વચ્ચે પહેલી વનડે મેચ 18મી જાન્યુઆરીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, બીજી વનડે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 21 જાન્યુઆરીએ રમાશે, વળી, સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આગામી 24 જાન્યુઆરીએ ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 


ત્રણ મેચોની હશે ટી20 સીરીઝ



વનડે સીરીઝ બાદ કીવી ટીમ ભારત સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવા માટે મેદાનમાં ઉતરશે. પહેલી ટી20 મેચ 27 જાન્યુઆરીએ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, ટી20ની બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી બાજપેયી ઇકાના સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 આગામી 1 લી ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 


ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટી20 ટીમ


 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમાર.