IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી ODI મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે રમાશે. યજમાનોએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવા ઈચ્છશે. અત્યાર સુધી ભારતીય ટીમના બેટ્સમેન અને બોલર બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચમાં ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. અગાઉની મેચોમાં ફ્લોપ ગયેલા અનુભવી ખેલાડીઓને આ મેચમાં પડતો મૂકીને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.


ભારતીય ટીમને પ્રથમ મેચમાં 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ તે પછી મિડલ ઓર્ડર સંપૂર્ણપણે પડી ભાંગ્યો અને ભારતીય ટીમ ટીમ મેચ હારી ગઈ હતી. બીજી મેચમાં મિડલ ઓર્ડરે પણ સારો દેખાવ કર્યો નહતો અને બોલરો પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. અત્યાર સુધી ઘણા યુવા બેટ્સમેનોને રમવાની તક મળી નથી. ટીમ મેનેજમેન્ટ છેલ્લી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે.


આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી


પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલા શ્રેયસ અય્યરને આગામી મેચમાં પડતો મૂકવામાં આવી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, સિનિયર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને આગામી મેચમાં પડતાં મુકવામાં આવી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો જસપ્રીત બુમરાહને પણ આગામી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 4 થી 5 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.


આ યુવાનોને તક મળી શકે છે


યુવા બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને છેલ્લી મેચમાં રમવાની તક આપવામાં આવી શકે છે. આ સિવાય યુવા બોલર પ્રસિદ્ધ કૃષ્ણા વનડેમાં ડેબ્યૂ કરી શકે છે. ચહલની જગ્યાએ સ્પિનર ​​જયંત યાદવને તક આપવામાં આવી શકે છે. જો બુમરાહને આરામ આપવામાં આવે છે તો દીપક ચહર પણ છેલ્લી વનડેમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.