IND vs SA T20 Series: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. શું આ સીરિઝમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે? સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવા નથી ઈચ્છતો પરંતુ BCCI તેને મનાવવાનો પ્રયાસ કરશે. વાસ્તવમાં  BCCI ઈચ્છે છે કે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે.


ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે ડરબનમાં રમાશે. આ પછી બીજી મેચમાં બંને ટીમો 12 ડિસેમ્બરે ગકેબરાહામાં સામસામે ટકરાશે. આ શ્રેણીની ત્રીજી અને છેલ્લી T20 મેચ 14 ડિસેમ્બરે જોહનિસબર્ગમાં રમાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ સીરિઝમાં ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે.  જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓના રમવા પર સસ્પેન્સ છે.     


રોહિત-કોહલી લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે T20 નથી રમી રહ્યા


રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારત માટે છેલ્લી વખત T20 ફોર્મેટમાં લગભગ એક વર્ષ પહેલા રમ્યા હતા. રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત તરફથી ટી-20માં રમતા જોવા મળ્યા હતા. ત્યારથી બંને દિગ્ગજ ટીમ ઇન્ડિયા માટે ટી-20 ફોર્મેટમાં રમી રહ્યા નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ BCCIને કહ્યું છે કે તે અનિશ્ચિત સમય માટે વન-ડે અને ટી-20 ફોર્મેટમાં રમવા માંગતો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી તે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં રમવા માંગતો નથી.


બીસીસીઆઈના એક સૂત્રએ કેપ્ટનશીપ અંગે પીટીઆઈને કહ્યું હતું કે , 'હા, સવાલ એ છે કે જ્યારે હાર્દિક પાછો આવશે ત્યારે શું થશે, પરંતુ બીસીસીઆઈને લાગે છે કે જો રોહિત T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનશીપ કરવા પર સહમત થશે તો તે ટી-20 વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશીપ સંભાળશે. જો રોહિત સહમત નહી થાય તો સૂર્યકુમા યાદવ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર કેપ્ટનશીપ કરતો જોવા મળશે.