India vs Afghanistan Test 2026: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી મુલ્લાનપુરમાં શરૂ થયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે નિરાશાની વાત એ છે કે આ મેચ જીતવા છતાં ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના પોઈન્ટ ટેબલમાં કોઈ જ ફાયદો થવાનો નથી. ભારતીય ટીમે ભલે 564 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હોય, છતાં WTC ના પોઈન્ટ ટેબલમાં ભારતનું સ્થાન સુધરશે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયા WTC રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે સંઘર્ષ કરી રહી છે અને ફાઇનલમાં પહોંચવાનો તેનો રસ્તો ઘણો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

મુલ્લાનપુર ટેસ્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન

મેચની વાત કરીએ તો, ભારતીય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના બોલરોને બરાબરના હંફાવ્યા છે. કેએલ રાહુલ અને શુભમન ગિલે શાનદાર સદી ફટકારી છે, જેના જોરે ભારતે પોતાનો પહેલો દાવ 564 રને ડિકલેર કર્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે, પણ આ જીત WTC ના પોઈન્ટ ટેબલના ગણિતમાં કોઈ જ કામની નથી.

Continues below advertisement
Continues below advertisement

જીતવા છતાં કેમ નહીં થાય કોઈ ફાયદો?

જો ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે બહુ મોટા માર્જિનથી જીત મેળવે તો પણ તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ જ પોઈન્ટ નહીં મળે. આ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો જ નથી. WTC માં કુલ 9 ટીમો રમે છે, જેમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમ મુજબ કોઈપણ સિરીઝમાં ઓછામાં ઓછી 2 ટેસ્ટ મેચ હોવી જરૂરી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફક્ત 1 જ ટેસ્ટ મેચ રમાઈ રહી હોવાથી આ સીરીઝ WTC સાયકલમાં ગણાશે જ નહીં.

આ પણ વાંચોઃ 15 વર્ષના વૈભવની પસંદગી પર અજિત અગરકરનો મોટો ખુલાસો, જણાવ્યું ટીમમાં કેમ લીધો?

WTC પોઈન્ટ ટેબલમાં ભારતની હાલત ખરાબ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તમામ ટીમોને તેમની જીતની ટકાવારી (વિનિંગ પર્સન્ટેજ) ના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ભારતે માત્ર 4 માં જ જીત મેળવી છે. આ સાથે ભારતની જીતની ટકાવારી 48.15 છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.

WTC 2025-27 ના આ ચક્રમાં ટીમ ઈન્ડિયાએ પોતાની લગભગ અડધી મેચો રમી લીધી છે, તેથી અહીંથી ફાઇનલમાં પહોંચવું ઘણું અઘરું છે. હાલના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે, ન્યુઝીલેન્ડ બીજા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?