Suryakumar Yadav dropped: ટીમ ઈન્ડિયાને 2026 નો T20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. BCCI દ્વારા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી નવી T20 ટીમમાંથી સૂર્યાને માત્ર કેપ્ટન તરીકે જ નહીં, પરંતુ ખેલાડી તરીકે પણ બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ હવે શ્રેયસ ઐયરને ટીમની નવી કમાન સોંપાઈ છે. આટલા મોટા નિર્ણય પાછળનું કારણ જણાવતા ચીફ સિલેક્ટર અજિત અગરકરે સૂર્યાના ખરાબ ફોર્મ અને ભવિષ્યની રણનીતિનો હવાલો આપ્યો છે.

શનિવારે BCCI એ આગામી સિરીઝ અને એશિયન ગેમ્સ માટે ટીમોની જાહેરાત કરી, જેમાં સૂર્યકુમાર યાદવનું નામ ત્રણેયમાંથી કોઈ પણ ટીમમાં જોવા મળ્યું નહીં. સૂર્યા પાસેથી કેપ્ટનશીપ તો લઈ જ લેવાઈ છે, પણ સાથે જ તેને ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો છે. હવે શ્રેયસ ઐયર T20 ટીમનો નવો કેપ્ટન બન્યો છે, જ્યારે તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવાયો છે. આ ઉપરાંત 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે.

Continues below advertisement
Continues below advertisement

નિર્ણય લેવો જરાય સહેલો નહોતો: અગરકર

આ મોટા ફેરફાર પર ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે, "આ નિર્ણય લેવો જરાય સહેલો નહોતો, ખાસ કરીને ત્યારે જ્યારે અમે હમણાં જ વર્લ્ડ કપ જીત્યા છીએ. પરંતુ કોઈપણ વર્લ્ડ કપ પૂરો થાય એટલે તમારે ભવિષ્યની રણનીતિ અને આગળના વર્લ્ડ કપ માટે બેસ્ટ ટીમ વિશે વિચારવું પડે છે. આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમને લાગ્યું કે અત્યારે આ જ સૌથી યોગ્ય નિર્ણય છે."

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

ખરાબ ફોર્મ બન્યું મોટું કારણ

ભલે સૂર્યાની કેપ્ટનશિપમાં ટીમ વર્લ્ડ કપ જીતી હોય, પણ તેનું પોતાનું વ્યક્તિગત ફોર્મ છેલ્લા બે વર્ષથી કંઈ ખાસ રહ્યું નથી. 2026 ના T20 વર્લ્ડ કપના આંકડા જ જોઈ લો, તો તેણે 9 મેચમાં માત્ર 242 રન બનાવ્યા હતા અને આખી ટૂર્નામેન્ટમાં તેના બેટમાંથી માત્ર 1 જ ફિફ્ટી નીકળી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ તેના માટે સારી રહી હતી, પણ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તે સાવ ફ્લોપ રહ્યો હતો.

સૌથી સફળ કેપ્ટન રહ્યો છે સૂર્યા

જો કેપ્ટન તરીકેના આંકડા જોઈએ તો સૂર્યકુમાર યાદવ જીતની ટકાવારીની દ્રષ્ટિએ ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન છે. તેણે 52 મેચમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી છે, જેમાંથી ભારતે 40 મેચમાં શાનદાર જીત મેળવી છે. કેપ્ટન તરીકે સૂર્યાની જીતની ટકાવારી 82% રહી છે, જે ખરેખર ઉત્તમ છે. આમ છતાં, બેટિંગમાં ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર