મેલબર્નઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે 5 વિકેટના નુકસાન પર 277 રન બનાવી લીધા હતા. કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલો અજિંક્ય રહાણે 104 રને અને જાડેજા 40 રને રમતમાં છે. રહાણેએ કરિયરની 12મી અને એમસીજીમાં બીજી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે સદી ફટકારવાની સાથે તે એક ખાસ ક્લબમાં સામેલ થયો હતો.


ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે સદી ફટકારનારો તે પાંચમો ભારતીય કેપ્ટન બન્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌપ્રથમ સદી મોહમ્મદ અઝહરુદ્દીને મારી હતી. 1991-92માં તેણે એડિલેડમાં 106 રનની ઈનિંગ રમી હતી.



આ પછી 1999-200માં સચિને એમસીજીમાં 116 રન, 2003-04માં સૌરવ ગાંગુલીએ 144 રન, 2014-15માં વિરાટ કોહલીએ એડિલેડમાં 115 અને 141 રન, 2014-15માં એસસીજીમાં 147 રન અને 2018-19માં પર્થમાં 123 રન બનાવ્યા હતા.

આ ટેસ્ટમાં રહાણેએ સદી ફટકારીને ખાસ ક્લબમાં સામેલ થયો હતો. અત્યાર સુધી રહાણેએ જે બે મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે તેમાં ભારતનો વિજય થયો છે. કોહલી ઈજાગ્રસ્ત થતાં રહાણેએ 2017માં ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપ કરી હતી. જેમાં ભારતની 8 વિકેટથી જીત થઈ હતી.

જે બાદ 2018માં અફઘાનિસ્તાન સામેની એક માત્ર ટેસ્ટમાં કોહલીની ગેરહાજરીમાં રહાણેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. ભારતીય ટીમે ટેસ્ટ ડેબ્યૂ કરી રહેલી અફઘાનિસ્તાનની ટીમને એખ ઈનિંગ અને 262 રનથી હાર આપી હતી.