IND vs ENG:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં  329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી  હતી.


ક્યાં વાગ્યો બોલ

ભારતના 329 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટના નુકસાન પર 52 રન બનાવી લીધા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવી રહ્યા છે. પ્રથમ દિવસે બેટિંગ કરી રહેલા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાને આંગળી પર બોલ વાગ્યો હતો. જેના કારણે તેને ઘણો દુખાવો થઈ રહ્યો હોવાથી તે આજે ફિલ્ડિંગ કરવા આવ્યો નથી. તેના સ્થાને મયંક અગ્રવાલ ફિલ્ડિંગ કરી રહ્યો છે. પુજારાને હાલ દુખાવો થઈ રહ્યો છે. જો જરૂર પડશે તો બીજી ઈનિંગમાં તે બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.

ઓસ્ટ્રેલિયામાં પણ વાગ્યા હતા શરીર પર બોલ

ઓસ્ટ્રેલિયામાં પણ પુજારાને કાંગારુ ફાસ્ટ બોલરના દડા હાથ અને છાતી પર વાગ્યા હતા. છતાં મક્કમ બેટિંગ કરતો રહ્યો હતો અને ભારતને જીતાડ્યું હતું. જો પુજારાની ઈજા ગંભીર હશે અને તે નહીં રમે તો ભારતને મોટો ફટકો પડી શકે છે.