India vs New Zealand 1st Test: મેટ હેનરી (Matt Henry)અને વિલિયમ ઓરુર્કે(William ORourke)ની ઘાતક બોલિંગને કારણે, ન્યૂઝીલેન્ડે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર 46 રન સુધી મર્યાદિત કરી દીધી. ઘરની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયા તરફથી રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા.


 






મેટ હેનરીની 5 વિકેટ અને વિલિયમ ઓ રૂકની 4 વિકેટો સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યો અને 'તુ ચલ મેં આયા'ની તર્જ પર તમામ મોટા સ્ટાર્સ આઉટ થઈ ગયા હતા. ન્યુઝીલેન્ડની ઘાતક બોલિંગ સામે ભારતના 5 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. આ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી પણ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો.


કોહલી-રોહિત, સરફરાઝ-રાહુલ, પંત-જાડેજા-અશ્વિન બધા નિષ્ફળ


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 9ના કુલ સ્કોર પર બોલ્ડ આઉટ થયો હતો. રોહિતને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો. આ પછી વિલિયમ ઓ'રૂકે વિરાટ કોહલીને શૂન્ય પર પેવેલિયન પરત મોકલી દીધો હતો. ત્યારબાદ હેનરીએ સરફરાઝ ખાનને આઉટ કર્યો હતો. સરફરાઝ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.


10 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ દરેકને યશસ્વી જયસ્વાલ અને રિષભ પંત પાસેથી અપેક્ષાઓ હતી. પરંતુ આ બંને કીવી બોલરો સામે લાંબો સમય ટકી શક્યા ન હતા. બંને વચ્ચે 21 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 31ના કુલ સ્કોર પર ઓ'રૂકે જયસ્વાલને આઉટ કર્યો હતો. તે એક ફોરની મદદથી માત્ર 13 રન જ બનાવી શક્યો હતો.


જયસ્વાલના આઉટ થયા બાદ કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યો હતો. પરંતુ રાહુલ પણ ખાતુ ખોલાવ્યા વગર છ બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પણ શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી જસપ્રીત બુમરાહ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.


ભારતે માત્ર 40 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાનો આજે બીજો સૌથી ઓછો સ્કોર હશે, પરંતુ મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે થોડો સમય કિવી બોલરોનો સામનો કર્યો હતો, પરંતુ આ બંને માત્ર 6 વધુ સ્કોર જ ઉમેરી શક્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયા 46 રનમાં સમેટાઈ ગઈ હતી.


આ પણ વાંચો...


IND vs NZ: 36 વર્ષથી ન્યૂઝીલેન્ડ ભારતમાં જીતની રાહ જોઈ રહ્યું છે, જાણો છેલ્લી વખત તેણે ક્યારે કમાલ કરી હતી