IND vs SL: સંજૂ સૈમસનને પાંચ વર્ષ બાદ મળી તક, બનાવ્યો આ અનોખો રેકોર્ડ
abpasmita.in | 10 Jan 2020 08:07 PM (IST)
ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. સંજૂ સૈમસનને અંતિમ મેચમાં ઋષભ પંતના સ્થાને તક આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રણ મેચની સીરિઝની અંતિમ મેચ આજે પૂણેમાં રમાઇ રહી છે. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન મલિંગાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. સંજૂ સૈમસનને અંતિમ મેચમાં ઋષભ પંતના સ્થાને તક આપવામાં આવી છે. આ સાથે સંજૂ સૈમસને બે મેચ વચ્ચે સૌથી વધુ મેચો સુધી બહાર રહેવાનો ભારતીય રેકોર્ડ બનાવી દીધો હતો. આ અગાઉ સંજૂ સૈમસને એકમાત્ર ટી-20 ઇન્ટરનેશનલ મેચ 19 જૂલાઇ 2015માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તેને એક પણ મેચમાં તક આપવામાં આવી નથી. આ વચ્ચે ભારતીય ટીમ 73 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે ત્યારે આટલી મેચ બાદ સંજૂને તક આપવામાં આવી છે. આ રીતે તે ભારત તરફથી બે મેચો વચ્ચે સર્વાધિક મેચ સુધી બહાર રહેનાર ખેલાડી બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો જે 2012થી 2018 વચ્ચે 65 ટી-20 મેચોમાં રમ્યો નહોતો. બાદમાં દિનેશ કાર્તિક (56) અને મોહમ્મદ શમી (43)નો નંબર આવે છે. આ મામલામાં વર્લ્ડ રેકોર્ડ ઇગ્લેન્ડના જો ડેનલીના નામ પર છે જે 2010થી 2018 વચ્ચે 79 ટી-20 મેચમાં બહાર રહ્યો હતો. ઇગ્લેન્ડના જ લિયામ પ્લંકટ 74 મેચ સાથે બીજા નંબર પર છે.