India vs West indies 3rd T20 Kolkata: ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ રવિવારે કોલકાતામાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમ પોતાની બેન્ચ સ્ટ્રેન્થ અજમાવશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઋષભ પંતને બ્રેક આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.


ભારતે શુક્રવારે બીજી T20માં વેસ્ટ ઈન્ડિઝને 8 રને હરાવીને રોહિત શર્માની આગેવાનીમાં સતત ત્રીજી શ્રેણી જીતી લીધી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી T20 વર્લ્ડ માટે આઠ મહિનાથી ઓછા સમય બાકી હોવાથી, રોહિત નવા વિકલ્પો અજમાવશે અને તેની શરૂઆત રિઝર્વ ઓપનરની શોધ સાથે થઈ શકે છે.


લોકેશ રાહુલની ગેરહાજરીમાં, ઇશાન કિશન ટોચના ક્રમમાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો છે અને તેની જગ્યાએ પ્રતિભાશાળી ગાયકવાડને લેવામાં આવી શકે છે, જે અત્યાર સુધી બહાર બેઠો હતો. IPL 2022 મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા બાદ T20 સિરીઝ રમી રહેલા ઈશાન અત્યાર સુધી નિરાશ થયા છે. તેને મુંબઈ ઈન્ડિયન્સે 15 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.પહેલી મેચમાં 42 બોલમાં 35 રન બનાવ્યા બાદ ઈશાન બીજી મેચમાં 10 બોલમાં માત્ર બે રન જ બનાવી શક્યો હતો. હવે જોવાનું એ રહેશે કે રોહિત મુંબઈ ઈન્ડિયન્સ ટીમના આ સાથી ખેલાડીને બીજી તક આપે છે કે નહીં.


વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ બાદ ભારતે શ્રીલંકા સામે ટી20 ઈન્ટરનેશનલ સીરીઝ રમવાની છે અને આવી સ્થિતિમાં ઈશાનને થોડી વધુ તક આપવી તે ખરાબ વિચાર નથી. શ્રેયસ મિડલ ઓર્ડરમાં કોહલીનું સ્થાન લેશે જેને 100મી ટેસ્ટ પહેલા જરૂરી આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કોહલી પણ શ્રીલંકા સામેની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં નહીં રમે અને આ ટીમ સામેની ટેસ્ટ સીરીઝમાં પરત ફરશે.


IPL હરાજીમાં ત્રીજો સૌથી મોંઘો ખેલાડી ઐયર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે મેચમાં ભારતના T20 માં ફિટ ન હતો પરંતુ અંતિમ મેચમાં તેની પસંદગી લગભગ નિશ્ચિત છે. દીપક હુડ્ડાએ જ્યારે T20 શ્રેણી પહેલા ODI શ્રેણીમાં પદાર્પણ કર્યું ત્યારે તે પ્રભાવિત થયો હતો અને તે જોવાનું રહે છે કે મોટા શોટ રમવા માટે સક્ષમ આ ઓલરાઉન્ડરને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અજમાવવામાં આવે છે કે કેમ.


જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ભારતે અત્યાર સુધી ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંનેએ અત્યાર સુધી પરિણામ આપ્યું છે, ખાસ કરીને બીજી મેચમાં જ્યાં ભુવનેશ્વરે 19મી ઓવરમાં મેચની પરિસ્થિતિ બદલી નાખી હતી અને ત્યારબાદ હર્ષલે છેલ્લી ઓવરમાં 25 રનનો બચાવ કરતા  ભારતને વિજય અપાવ્યો હતો. રોહિત બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરીને મોહમ્મદ સિરાજને તક આપે છે કે કેમ તે જોવું રહ્યું. અવેશ ખાન, જે તેના ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે, તે પણ એક વિકલ્પ છે.