Indian Team: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે અને દરેકની નજર તેના પર છે. આવી સ્થિતિમાં આગામી 2 મહિના સુધી તમામનું ધ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરથી હટશે. પરંતુ તે પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. BCCIએ ગયા મહિને જ વર્તમાન આંતરરાષ્ટ્રીય સીઝન માટે વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓને પડતો મૂકવામાં આવ્યા હતા. હવે બોર્ડે તેમાં થોડો ફેરફાર કર્યો છે અને બે ખેલાડીઓનો સમાવેશ કર્યો છે પરંતુ આ ઈશાન કે ઐયર નહીં પરંતુ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન છે.


સમાચાર એજન્સી પીટીઆઈએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ટીમ ઈન્ડિયાના આ બે નવા ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે કરારને મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય બોર્ડની આ બેઠક સોમવારે, 18 માર્ચના રોજ યોજાઈ હતી, જેમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સરફરાઝ-જુરેલના કેન્દ્રીય કરારને લીલી ઝંડી આપવામાં આવી હતી.


ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂનો  ફાયદો


સરફરાઝ અને ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયા માટે સાથે ડેબ્યૂ કર્યું હતું. આ બંનેને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં તક મળી હતી. આ ટેસ્ટ સીરિઝમાં 5 ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જેમાંથી સરફરાઝ અને જુરેલને રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તક મળી હતી અને ત્યાર બાદ તેમના પ્રદર્શનના આધારે સીરિઝની છેલ્લી 3 ટેસ્ટ રમી હતી. આ બંનેને 5મી ટેસ્ટ મેચમાં પણ તક મળી હતી. તેની સાથે જ તેમને કેન્દ્રીય કરાર મળવાનો રસ્તો સાફ કરવામાં આવ્યો હતો.


1 કરોડ રૂપિયા મળશે


BCCIના રિટેનરશિપ નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી કોન્ટ્રાક્ટ વર્ષમાં 3 ટેસ્ટ અથવા 8 વન-ડે અથવા 10 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમે છે તો તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળે છે. ધ્રુવ અને સરફરાઝે આ શરત પૂરી કરી અને સી-ગ્રેડમાં સીધી એન્ટ્રી મેળવી હતી. બોર્ડના 4 ગ્રેડમાં આ ગ્રેડ સૌથી નીચો છે, પરંતુ આમાં આવતા ખેલાડીઓને પણ વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે. ધ્રુવ અને સરફરાઝને પણ આ રકમ મળશે.


કેવું રહ્યું બંનેનું પ્રદર્શન?


બંને ખેલાડીઓએ માત્ર 3 ટેસ્ટ જ રમી છે. આ મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરફરાઝે આ 3 ટેસ્ટ મેચોની 5 ઇનિંગ્સમાં 3 અડધી સદી ફટકારી છે. જુરેલે ચોથી ટેસ્ટમાં 90 અને 39 રનની શાનદાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાને શ્રેણી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જુરેલ હવે IPL 2024 માં રાજસ્થાન રોયલ્સ માટે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરશે. સરફરાઝ ખાન આ વખતે આઈપીએલની કોઈપણ ટીમનો ભાગ નથી, તેથી તે આગામી ટેસ્ટ શ્રેણીની વહેલી તકે આવવાની આશા રાખશે.