નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની જીતની દેશ સહિત દુનિયાના ક્રિકેટરો પણ પ્રસંશા કરી રહ્યાં છે. ભારતીય ટીમની સાથે સાથે સપોર્ટ સ્ટાફ અને કૉચની પણ પ્રસંશા થઇ રહી છે. ઇન્ઝમામે કહ્યું કે ભારતની જીત એક રાહુલ દ્રવિડની તાકાત છે, વિરાટ કોહલી અને સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં આ કામ માત્ર દ્રવિડે કરી બતાવ્યુ છે. ઉલ્લેખનીય છે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર 2-1થી કબજો જમાવ્યો છે.


ઇન્ઝમામે કહ્યું ભારતની સૌથી મોટી તાકાત દ્રવિડ છે, તેને યુવા ખેલાડીઓને માનસિક રીતે સૌથી મજૂબત કર્યા છે, અને આ કારણે સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં તે આ બધુ સંભવ કરી શક્યા.

પોતાની યુટ્યૂબ ચેનલ પર પૉસ્ટ કરેલા વીડિયોમાં ઇન્ઝમામ-ઉલ-હકે દ્રવિડની પ્રસંશા કરી, કહ્યું- ઓસ્ટ્રેલિયામાં એક સીરીઝ જીતવી ખુબ કઠીન છે, મે મારા જીવનમાં ક્યારેય ભારતીય ટીમ જેવી યુવા ટીમ નથી જોઇ, જે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ હરાવી શકે. હું વિચારતો હતો કે આ કઇ રીતે થયુ, અને ખબર પડી કે ઋષભ પંત અને વૉશિંગટન સુંદરે 2016માં અંડર 19 વર્લ્ડકપ રમ્યો હતો.

(ફાઇલ તસવીર)

ઇન્ઝમામે આગળ કહ્યું- શુભમન ગીલ અને પૃથ્વી શૉએ 2018માં અંડર-19 વર્લ્ડકપ રમ્યો હતો, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, હનુમા વિહારી અને મયંક અગ્રવાલે ભારત એ માટે ક્રિકેટ રમી છે. આ તમામ ખેલાડીઓને રાહુલ દ્રવિડે માનસિક રીતે મજબૂત કર્યા છે. આ કારણે જે ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરી બતાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ હાલ એનસીએના ચીફ છે, અને તમામ યુવા ખેલાડીઓ એનસીએમાં ટ્રેનિંગ લઇ રહ્યાં છે.