નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન કિંગ્સ ઇલેવન પંજાબ માટે ખરાબ સાબિત થઇ રહી છે. ટીમે અત્યાર સુધી 6માંથી પાંચ મેચ ગુમાવી દીધી છે. પૉઇન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ સૌથી તળીયે છે. ત્યારે સતત હારનો સામનો કરી રહેલી પંજાબની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને કેમ બહાર રખાઇ રહ્યો છે, તે સવાલ દરેકના મનમાં છે. હવે સવાલનો જવાબ ખુદ ટીમના કૉચ અનિલ કુંબલેએ આપ્યો છે. અનિલ કુંબલે ક્રિસ ગેલને ટીમમાં સામેલ ના કરવાનુ કારણ બતાવ્યુ છે.


કિંગ્સ ઇલેવન પંજાબે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચને 69 રનોથી ગુમાવી દીધી. ત્યારે ટીમના કૉચ અનિલ કુંબલેએ મેચ દરમિયાન કહ્યું હતુ કે, ક્રિસ ગેલને હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં તબિયત ખરાબ હોવાના કારણે મોકો ના મળ્યો.

અનિલ કુંબલેએ કહ્યું કે, હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં અમે ગેલને ટીમમાં લેવા માંગતા હતા, પરંતુ ગેલ આ મેચ માટે ફિટ નહતો. ક્રિસ ગેલને ફૂડ પૉઇઝન થયુ છે. આ કારણે અમે તેને હૈદરાબાદ સામેની મેચમાંથી બહાર રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 13માં ક્રિસ ગેલને હજુ સુધી એકપણ મેચ રમવાનો મોકો નથી મળ્યો.એક્સપર્ટ્સનુ માનવુ છે કે ક્રિસ ગેલનો અનુભવ ટીમને કામ આવી શકે છે, અને ટીમ પોતાની જુની લય હાંસલ કરી શકે છે.