નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન દુબઇમાં થઇ રહ્યુ છે, હાલ કોરોનાની સ્થિતિની ધ્યાનમાં રાખીને આઇપીએલ માટે બીસીસીઇઆઇએ નવા નિયમો બનાવ્યા છે. આ નિયમો પર બધી ટીમોની સહમતી પણ સધાઇ ગઇ છે.


બીસીસીઆઇની ટીમ માલિકો સાથે થયેલી મીટિંગ બાદ નક્કી થઇ ગયુ છે કે, દુબઇમાં તમામ ટીમોના ખેલાડીઓને 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ખેલાડીઓની પ્રેક્ટિસ માટે આઇપીએલની તમામ ટીમો પોતાના ખેલાડીઓની સાથે 20 ઓગસ્ટે જ દુબઇ જઇ રહી છે.

મીટિંગ બાદ ટીમો તરફથી જાહેર કરાયેલા નિવેદનમા કહેવામાં આવ્યુ કે, અમે ખેલાડીઓની હેલ્થની સાથે કોઇ ખતરો ઉઠાવવા માંગતા નથી. બધા ખેલાડીઓ અને સ્ટાફ દુબઇ પહોંચતા જ 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેશે.



દુબઇ સરકારના નિયમ અંતર્ગત દેશમાં પહોંચનારા કોઇપણ વ્યક્તિને 96 કલાક પહેલા કોરોના ટેસ્ટ થવો જરૂરી છે. એટલુ જ નહીં દુબઇ પહોંચ્યા પછી પણ તે વ્યક્તિનો બીજો એક કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે. જોકે, દુબઇની સરકાર માત્ર પૉઝિટીવ આવનારા ખેલાડીઓને જ 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન કરે છે. દુબઇમાં કૉવિડ-19ના કારણે તે દરેકની પાસે Alhosn એપ હોવી જરૂરી છે.


આ ઉપરાંત બીસીસીઆઇએ તમામ ખેલાડીઓને એસઓપી જાહેર કરી દીધી છે. એસઓપીમાં ટીમોના બાયૉ સિક્યૉર પ્રૉટોકૉલ વિશે જાણકારી આપવામાં આવી છે ટીમના માલિકોએ બીસીસીઆઇના પોતાની સાથે માત્ર 24 ખેલાડીઓને જ રાખવાના ફેંસલા પર સહમતી દર્શાવી છે.