IND Vs IRE:  આયર્લેન્ડ સામે આવતા મહિને થનારી ત્રણ મેચની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. એટલું જ નહીં જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. BCCIએ આયર્લેન્ડ પ્રવાસ પર માત્ર યુવા ખેલાડીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. ઋતુરાજ ગાયકવાડને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન જેવા ખેલાડીઓને આ ટીમમાં સ્થાન  આપવામાં આવ્યું છે. 


IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને આખરે ટીમ ઈન્ડિયામાં તક મળી છે. જીતેશ શર્માને પણ આયર્લેન્ડ સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. બુમરાહ ઉપરાંત ઈજામાંથી બહાર આવી રહેલા ફાસ્ટ બોલર કૃષ્ણાની પણ ટીમમાં વાપસી થઈ છે. લાંબા સમય બાદ શિવમ દુબેને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.






મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો


આયર્લેન્ડ સામે ત્રણ ટી-20 મેચોની સિરીઝ 18 ઓગસ્ટથી શરૂ થશે. બીજી ટ્વેન્ટી-ટ્વેન્ટી 20 ઓગસ્ટે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. એશિયા કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આયર્લેન્ડ પ્રવાસથી તમામ મોટા ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.


મોટા ખેલાડીઓ આ સીરીઝમાં નહી જોવા મળે


રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિંદ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, સિરાજ એવા મોટા ખેલાડીઓ છે જેઓ આ  સીરીઝમાં રમતા જોવા મળશે નહીં.


કેએલ રાહુલ વાપસી નહી 


જો કે આ શ્રેણીમાં બે ખેલાડીઓ પરત ફર્યા નથી. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી પર પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. આ બંને ખેલાડીઓ એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે કે કેમ તે અંગે હાલમાં બીસીસીઆઈ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.


ટીમ ઈન્ડિયા:   જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ  ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન.