નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પત્ની આયશા મુખર્જીને છૂટાછેડા આપ્યા છે. આયશાએ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આયશા મુખર્જીએ તલાક સાથે જોડાયેલી વાત લખી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર ધવનનું હજુ સુધી કોઈ સ્ટેટમેંટ આવ્યું નથી.


ઓક્ટબર 2012માં શિખર ધવને આયશા મુખર્જી સાથે શીખ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આયશાને પ્રથમ લગ્નથી બે દીકરીઓ છે. શિખર-આયશાનો એક પુત્ર પણ છે.  આયશાની માતા બંગાળી છે અને પિતા ઓસ્ટ્રેલિયન છે. આયશાના પેરેન્ટ્સની મુલાકાત ભારતમાં થઈ હતી અને બાદમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા. આયશાનો જન્મ ભારતમાં થયો હતો. મેલબર્નની રહેવાસી આયશા મુખર્જી લગ્નના 9 વર્ષ બાદ ધવનથી અલગ થઈ રહી છે.


આ રીતે મળ્યા હતા ધવન અને આયશા


ધવન અને આયશા ફેસબુક દ્વારા મળ્યા હતા. બંનેની મુલાકાત કરાવવામાં ભારતના સ્ટાર ઓફ સ્પીનર હરભજન સિંહનો મહત્વનો રોલ હતો. ટર્બોનેટરના પેજ પર આયશાનો ફોટો જોઈ ધવને તેને ફ્રેંડ રિકવેસ્ટ મોકલી હતી. જે બાદ બંને એકબીજા સાથે ચેટ કરવા લાગ્યા અને નજીક આવી ગયા. જે બાદ બંનેએ લગ્ન કરવાનો ફેંસલો લીધો,


આયશાએ લખી ભાવુક પોસ્ટ


આયશાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, એક વખત તલાક થઈ ચુક્યા છે. બીજી વખત બધું દાવ પર લગાવ્યું હતું. મારે ઘણું સાબિત કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટ્યા તે ઘણા ડરામણા હતા. હું વિચારતી હતી કે તલાક ગંદો શબ્દ છે પરંતુ મારા બે વખત છૂટાછેડા થયા છે.


ધવનની કેવી છે કરિયર


ધવનની નજર હાલ ટી20 વર્લ્ડકપ માટે ટીમમાં સ્થાન બનાવવા પર છે. દિલ્હી તરફથી ઘરેલુ ક્રિકેટ રમતો ધવન હાલ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં છે. શિખર ધવને 34 ટેસ્ટમાં 40.6ની સરેરાશથી 2315 રન, 145 વન ડેમાં 45.5ની સરેરાશતી 6105 રન અને 68 ટી20 ઈન્ટરનેશલમાં 126.4ના સ્ટ્રાઇક રેટથી 1759 રન બનાવ્યા છે. જ્યારે આઈપીએલની 184 મેચમાં તેણે 5577 રન બનાવ્યા છે.