IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 17ના પહેલા હાફમાંથી બહાર થઈ શકે છે. કેએલ રાહુલની ઈજા ગંભીર છે અને તેને સારી સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો છે. જો કેએલ રાહુલ નહીં રમે તો નિકોલસ પુરન લખનૌની કપ્તાની સંભાળશે. ગુરુવારે એલએસજીએ એક નિવેદન જારી કરીને નિકોલસ પુરનને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. જો કે કેએલ રાહુલ ના રમવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચનો ભાગ નહીં હોય.


 






બીસીસીઆઈ દ્વારા કેએલ રાહુલની ફિટનેસ અપડેટ જાહેર કરવામાં આવી છે. બીસીસીઆઈનું કહેવું છે કે કેએલ રાહુલની ઈજા ગંભીર છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ કેએલ રાહુલની ઈજા પર નજર રાખી રહી છે અને તેને વધુ સારા નિદાન માટે લંડન મોકલવામાં આવ્યો છે. કેએલ રાહુલની ઈજા વિશે ટૂંક સમયમાં જ બધું સ્પષ્ટ થઈ જશે. પરંતુ આ ઈજાના કારણે કેએલ રાહુલ ધર્મશાલા ટેસ્ટ રમી શકશે નહીં.


કેએલ રાહુલ ગયા વર્ષે પણ ઈજાગ્રસ્ત થયો હતો


કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચનો ભાગ હતો. આ મેચમાં રાહુલે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ રાહુલ પ્રથમ ટેસ્ટ બાદ ઈજાગ્રસ્ત થયો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રાહુલની ઈજા ગંભીર નથી અને તે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ સુધીમાં ટીમમાં વાપસી કરશે. પરંતુ એવું ન થયું અને રાજકોટ છોડો રાહુલ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ ન બન્યો.


ટી-20 વર્લ્ડ કપમાં રમવાની શક્યતા ઘટી જશે


કેએલ રાહુલનું ન રમવું એ એલએસજી માટે મોટો ફટકો છે. આ પહેલા પણ ઈજાના કારણે રાહુલ ગત સિઝનની અડધાથી વધુ મેચ રમી શક્યો ન હતો. જોકે, રાહુલે ઈજા બાદ જોરદાર પુનરાગમન કર્યું હતું અને તે ભારતના વર્લ્ડ કપ અભિયાનનો મહત્વનો ભાગ હતો. પરંતુ આઈપીએલના પહેલા હાફમાં રાહુલની ગેરહાજરીથી તેની ટી-20 વર્લ્ડ કપમાં રમવાની શક્યતા ઘટી જશે.