ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ તેમના પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ભારતના આ પ્રદર્શન માટે BCCIએ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. જે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમગ્ર ભારતીય ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે સૂર્યા, શિવમ અને યશસ્વી જયસ્વાલને મહારાષ્ટ્ર વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા.






જ્યાં ચારેય ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સિવાય બોલિંગ કોચ અને સહયોગી સભ્યો પારસ મ્હામ્બરે અને અરુણ કનાડેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.


રોહિત અને સૂર્યાએ શું કહ્યું ?


મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મને કહ્યું કે આવો કાર્યક્રમ ક્યારેય વિધાન ભવન સંકુલમાં યોજાયો નથી. આટલી લાંબી રાહ પછી, ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં લાવીને સપનું સાકાર થયું અને સૂર્યાએ કહ્યું કે તે નસીબદાર છે કે બોલ તેના હાથમાં આવ્યો.  દુબેએ કહ્યું કે, મને ગર્વ છે કે હું મહારાષ્ટ્રમાં રહું છું. ગઈકાલે અમને મળેલા સ્વાગતથી અમે અભિભૂત થઈ ગયા. 


દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રોહિતે અમને એક જ દિવસમાં સારા અને ખરાબ બંને સમાચાર આપ્યા. તેણે ટી20 વર્લ્ડ કપ તો જીત્યો પરંતુ ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં તેમનું નામ કાયમ માટે લખાઈ ગયું છે. અજિત પવારે કહ્યું કે રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે T20 ઈન્ટરનેશનલમાં નહીં રમે. પરંતુ જ્યારે પણ અમે ટી-20 મેચ જોઈશું, અમે તમને અને તમારી ટીમની સિદ્ધિઓને હંમેશા યાદ રાખીશું. 


આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડ્રી લાઇન પર સૂર્યકુમાર યાદવે પકડેલો કેચ મેચ વિનિંગ હતો. આ કેચની સૌ કોઇએ પ્રશંસા કરી હતી.