New Zealand test squad:  ન્યૂઝીલેન્ડે બુધવારે આગામી ભારત પ્રવાસ માટે તેની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કિવી ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે, જેમાં પ્રથમ ટેસ્ટ 16 ઓક્ટોબરથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.






ટોમ લાથમ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડના ફુલ ટાઈમ ટેસ્ટ કેપ્ટનની ભૂમિકા ભજવતો જોવા મળશે. જો કે ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સનની ઇજાએ ચાહકોની ચિંતા વધારી દીધી છે. વિલિયમ્સનને ગ્રોઇનમાં દુખાવાના કારણે ભારત મોડા આવશે.


વિલિયમ્સનને ગાલેમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન  ગ્રોઇનની સમસ્યા થઇ હતી અને તેને રિહેબની જરૂર પડશે. સ્વસ્થ થયા બાદ તે ભારતમાં ન્યૂઝીલેન્ડની ટેસ્ટ ટીમમાં જોડાશે. ન્યૂઝીલેન્ડના પસંદગીકાર સેમ વેલ્સે કહ્યું કે વિલિયમ્સનને કેટલીક મેચો રમાડવાની યોજના છે.


વેલ્સે કહ્યું હતું કે, "અમને સલાહ આપવામાં આવી છે કે કેન વિલિયમ્સન માટે એક્શનમાં પાછા ફરતા પહેલા આરામ અને રિહેબની જરૂર છે." નહિંતર તેને ઈજા થવાનું જોખમ વધી શકે છે. અમે આશા રાખીએ છીએ કે જો રિહેબ યોજના મુજબ થશે તો કેન વિલિયમ્સન પ્રવાસના અંતે ઉપલબ્ધ રહેશે.


તેણે કહ્યું હતું કે  "જ્યારે વિલિયમ્સન માટે પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ ન હોવું નિરાશાજનક છે, ત્યારે અન્ય ખેલાડીઓ પાસે એક મહત્વપૂર્ણ શ્રેણીમાં પોતાને સાબિત કરવાની સુવર્ણ તક હશે."માર્ક ચેપમેને મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું અને 41.9ની એવરેજથી 6 સદી ફટકારી છે. જેમાં 2020માં ઓવલ ખાતે ભારત-એ સામે ન્યૂઝીલેન્ડ-એ તરફથી રમતી વખતે 114 રનની ઇનિંગ સામેલ છે. ચેપમેને ગયા સમરમાં એસેસ પ્લંકેટ શીલ્ડમાં ત્રણ મેચ રમી હતી, જેમાં તેણે 40ની સરેરાશથી 245 રન બનાવ્યા હતા. આમાં ફેબ્રુઆરીમાં ડ્યુનેડિનમાં ઓટાગો વોલ્સ સામે 123 રનની ઈનિંગ સામેલ હતી.


માર્ક વેલ્સે શું કહ્યું?


પસંદગીકાર વેલ્સે કહ્યું કે ચેપમેન પાસે યોગ્ય શૈલી છે, જે તેને ઉપખંડમાં સફળતા અપાવી શકે છે. તેણે કહ્યું, “અમે માનીએ છીએ કે માર્ક સ્પિન સામે અમારા શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે અને ઉપમહાદ્વીપમાં તેનો સારો રેકોર્ડ છે. માર્કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પિન રમવાની ક્ષમતા બતાવી છે અને તે જાણે છે કે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે સફળ થવું.


માઈકલ બ્રેસવેલ માત્ર એક મેચ માટે ઉપલબ્ધ છે


ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ માત્ર એક મેચ માટે ટેસ્ટ ટીમ સાથે ભારત આવશે. આ પછી તે પોતાના બીજા બાળકના જન્મ માટે ન્યૂઝીલેન્ડ પરત ફરશે. બાકીની શ્રેણીમાં ઈશ સોઢી સ્પિનરની ભૂમિકા ભજવશે. આ સિવાય શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ


ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ'રૂડકી, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સિયર્સ, ઈશ સોઢી (બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમ્સન અને વિલ યંગ.