India vs Australia, ODI Series: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી 3 મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. આ સીરીઝની પહેલી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2023ના અંતમાં રમાનારા વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને બન્ને ટીમો માટે આ વનડે સીરીઝ ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે. જેમાં કેટલાક ખેલાડીઓના પ્રદર્શન પર પણ ખુબ નજર રહેવાની છે.  


આ વનડે સીરીઝની પહેલી મેચમાં જ્યાં ભારત તરફથી હાર્દિક પંડ્યા કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે, તો વળી, ઓસ્ટ્રેલિયા તરફથી વનડે સીરીઝની આગેવાની સ્ટીવ સ્મિથના હાથોમાં સોંપવામાં આવી છે. આ વનડે સીરીઝમાં કેટલાક ખાસ ખેલાડીઓની વાપસી પણ ટીમમાં જોવા મળશે. જેમાં ડેવિડ વૉર્નર ઉપરાંત ગ્લેન મેક્સવેલ પુરેપુરી રીતે ફિટ થયા બાદ મેદાન પર વાપસી કરી રહ્યાં છે. 


મુંબઇના રમાનારી પહેલી વનડે મેચ દરમિયાન આવી જ ટક્કર જોવા મળશે. જેનો ફેન્સ ખુબ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. આ ટક્કરમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જામ્પા જોવા મળશે. ખરેખરમાં, કાંગારુ લેગ સ્પિનરની સામે વિરાટ કોહલી હંમેશા સંઘર્ષ કરતો દેખાય છે, અને લિમીટેડ ઓવર્સ ફૉર્મેટમાં જામ્પાએ તેને 8 વાર અત્યાર સુધી પોતાના શિકાર બનાવ્યો છે, જેમાં વનડે ફોર્મેટમાં 5 વાર જ્યારે ટી20 ફૉર્મેટમાં 3 વાર આઉટ કર્યો છે.  


મોહમ્મદ સિરાજ વિરુદ્ધ ડેવિડ વૉર્નર અને જાડેજા વિરુદ્ધ સ્મિથ  - 
આ પહેલી વનડે મેચમાં અન્ય ટક્કરને લઇને વાત કરવામાં આવે તો, તેમાં મોહમ્મદ સિરાજ અને ડેવિડ વૉર્નરની વચ્ચે બૉલ અને બટથી થનારો જંગ જોવા મળશે. હાલમાં નંબર વન વનડે બૉલર મોહમ્મદ સિરાજ માટે છેલ્લુ એક વર્ષ ખુબ શાનદાર રહ્યું છે અને ડેવિડ વૉર્નર માટે નવા બૉલ સાથે ખતરો ઉભો થઇ શકે છે.  


ટેસ્ટ સીરીઝ દરમિયાન સ્ટીવ સ્મીથ અને રવિન્દ્ર જાડેજાની વચ્ચે ટક્કર જોવા મળી હતી, ફેન્સને મજા પણ આવી હતી. હવે બન્ને જ ખેલાડીઓની વચ્ચે વનડે સીરીઝમાં પણ કંઇક આવુ જ થવાનું છે. જોકે, વનડે ફોર્મેટમાં જાડેજા માત્ર 1 વાર જ સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવી શક્યો છે. 


 


IND Vs AUS ODI Series: આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થશે વન-ડે સીરિઝ, જાણો ભારતમાં કેવો છે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ?


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી વન-ડે સીરિઝ શરૂ થઈ રહી છે. આ વર્ષના અંતમાં ભારતમાં ODI વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં બંને ટીમો આ શ્રેણીમાં પોતાની પૂરી તાકાત લગાવતી જોવા મળશે. બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝ જીત્યા બાદ ભારતીય ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. તો હવે તેની નજર વનડે સીરિઝ પણ જીતવા પર છે.


જો કે ટીમ ઈન્ડિયા માટે આ આસાન નથી. કારણ કે ભારતમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ પણ ઘણો સારો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે દરેક મોરચે ટકી રહેવું પડશે. કારણ કે કાંગારૂ ટીમે 2019માં ભારતને તેના ઘરઆંગણે વનડે શ્રેણીમાં હરાવ્યું હતું.


જો તમે આંકડાઓ પર નજર નાખો તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડેમાં અત્યાર સુધીમાં કુલ 143 મેચ રમાઈ છે, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 80માં જીત મેળવી છે, જ્યારે ભારતે 53 મેચ જીતી છે. બીજી તરફ ભારતમાં રમાયેલી ODI મેચોના રેકોર્ડ પર નજર કરીએ તો કુલ 64 મેચોમાંથી ઓસ્ટ્રેલિયાએ 30 અને ભારતે 29 મેચ જીતી છે.


જ્યારે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો


ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2018/19ની ODI શ્રેણીમાં ભારતને 3-2થી હરાવ્યું હતું. સીરીઝની પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા અહીં ફફડી ગઈ અને ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ત્રણ મેચ જીતીને સીરીઝ જીતી લીધી હતી. તે શ્રેણીમાં ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયા માટે 2 સદી ફટકારી હતી અને 5 મેચમાં 383 રન બનાવીને ટોચનો સ્કોરર હતો. ભારત માટે વિરાટ કોહલીએ 5 મેચમાં 2 સદી સહિત 310 રન બનાવ્યા હતા.


ટેસ્ટ શ્રેણીમાં એવી પીચો તૈયાર કરવામાં આવી હતી, જેના પર બોલ ઘણો ટર્ન થતો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમને ફાયદો થયો, પરંતુ વનડે શ્રેણીમાં આવું ભાગ્યે જ બનશે. કારણ કે વનડેમાં મેચને રોમાંચક બનાવવા માટે અહીં બેટ્સમેન માટે અનુકૂળ પીચ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સ્પિનરોને આટલો ટર્ન નહીં મળે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સાથે સખત મુકાબલો કરવો પડશે.


આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહીં હોય, તે બીજી-ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ વનડે સીરીઝ પહેલા ઈજાગ્રસ્ત થયો છે અને તે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને મિડલ ઓર્ડરમાં તેની જગ્યાએ વધુ સારો વિકલ્પ પસંદ કરવો પડશે.