પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ કપ 2023માં રમવા ભારતના પ્રવાસ માટે લીલી ઝંડી આપી દીધી છે. પાકિસ્તાનનું માનવું છે કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની અસર તેની આંતરરાષ્ટ્રીય રમતગમતની જવાબદારીઓને પૂર્ણ કરવામાં અવરોધરૂપ બનવી જોઇએ નહીં. બાબર આઝમની ટીમ હૈદરાબાદમાં 6 ઓક્ટોબરે નેધરલેન્ડ સામેની ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.






પાકિસ્તાન સરકારે કહ્યું કે તે રમતને રાજકારણ સાથે જોડવા માંગતી નથી. આ બાબતોને જોતા તેણે પોતાની ટીમને વર્લ્ડકપમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનની ટીમ 2016 પછી કોઈપણ ટૂર્નામેન્ટમાં રમવા માટે ભારત આવશે. છેલ્લી વખત તેણે T20 વર્લ્ડકપમાં ભાગ લીધો હતો.


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું નિવેદન


પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાનનો નિર્ણય ભારતના હઠીલા વલણની વિરુદ્ધ તેના રચનાત્મક અને જવાબદાર અભિગમને પ્રતિબિંબિત કરે છે, કારણ કે ભારતે એશિયા કપ માટે તેની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો."


જો કે બધા જાણે છે કે પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે અને આ કારણોસર ભારત સરકારે એશિયા કપ માટે ક્રિકેટ ટીમને ત્યાં ન મોકલવાનો નિર્ણય લીધો હતો.


વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  “પાકિસ્તાન તેની ક્રિકેટ ટીમની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. અમે આ ચિંતાઓ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ભારત સરકાર સમક્ષ ઉઠાવી છે. અમને આશા છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ દરમિયાન તેની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.


ભારત-પાકિસ્તાન મેચના કાર્યક્રમમાં ફેરફાર 


ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર હવે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. દરમિયાન, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે આઇસીસી અને બીસીસીઆઇની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તેણે 12 નવેમ્બરે કાલી પૂજાના કારણે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચની તારીખ બદલવાની માંગ કરી છે.


જો BCCI અને ICCને આ મેચની તારીખમાં વધુ ફેરફાર કરવો પડશે તો પાકિસ્તાનના કાર્યક્રમમાં આ ત્રીજો ફેરફાર હશે. ભારત-પાકિસ્તાન મેચ સિવાય પાકિસ્તાન-શ્રીલંકા (12 ઓક્ટોબર) મેચની તારીખ પણ બદલવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આ મેચ હવે 10 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.