નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝને તમામ મુશ્કેલીઓ છતાં સાબિત કરી દીધુ કે કેમ આઇપીએલ દુનિયાની સૌથી સફળ ક્રિકેટ લીગ તરીકે ઓળખાય છે. પરંતુ આઇપીએલની પહેલી સિઝન બાદથી પાકિસ્તાનના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નથી રમી શકતા. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે ફરી એકવાર આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને રમાડવા દેવાની અપીલ કરી છે.


વસીમ અકરમે કહ્યું કે, આઇપીએલમાં ના રમવાના કારણે પાકિસ્તાનના ખેલાડીઓને નુકશાન થઇ રહ્યું છે. 2008માં મુંબઇ હુમલા બાદથી બન્ને દેશો વચ્ચેના સંબંધો તણાવભર્યા બની ગયા અને ત્યારપછીથી પાકિસ્તાનના ક્રિકેટરોને આઇપીએલમાં એન્ટ્રી બેન થઇ ગઇ હતી.

વસીમ અકરમનુ માનવુ છે કે આઇપીએલને રાજનીતિથી અલગ રાખવી જોઇએ, અકરમે કહ્યું મારુ માનવુ છે કે રાજનીતિના કારણે રમતને નુકશાન થવુ ના જોઇએ. રાજનીતિ સરકારનો મુદ્દો છે, અને આ કારણે બન્ને દેશ ક્રિકેટ નથી રમી શકતા. આઇપીએલ સૌથી સફળ લીગ છે, અને હું આમાં પાકિસ્તાની ખેલાડીઓને ભાગ લેતો જોવા માંગુ છુ.

વસીમ અકરમ ભારતીય ખેલાડીઓને પાકસ્તાન સુપર લીગમાં પણ રમતા જોવા માંગે છે. અકરમે કહ્યું જો ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેશે તો વધુ સારુ રહેશે.