નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપના આયોજનને લઇને સતત અટકળો લગાવવામાં આવી રહી છે. માનવામાં આવે છેકે ગુરુવારે 28મે યોજાનારી આઇસીસી બેઠકમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવશે. વળી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આનાથી સહમત નથી, બોર્ડે કહ્યું કે, તે વર્લ્ડકપ સ્થગિત કરવાનો વિરોધ કરશે.


પીસીબીના અધિકરીએ કહ્યું કે, બોર્ડ મીટિંગમાં વર્લ્ડકપને સ્થગિત કરવાનો વિરોધ કરશે. પીસીબી અધિકારીએ સલાહ આપતા કહ્યું કે, અત્યારે તો ફક્ત મે છે અને હજુ પણ સમય છે. આઇસીસી સભ્યોએ રાહ જોવી જોઇએ કે કોરોના વાયરસની સ્થિતિ શું થાય છે. ટૂર્નામેન્ટના આયોજન પર નિર્ણય બે મહિના બાદ પણ લઇ શકાય છે.

સતત આવી રહેલા રિપોર્ટ અનુસાર, આઇસીસી આ વર્ષના વર્લ્ડકપને સ્થગિત કરી શકે છે, અને સાથે સપ્ટેમ્બરમાં રમાનારા એશિયા કપનું આયોજન પણ રદ્દ કરવામાં આવી શકે છે. જેના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજનની વિન્ડો ખુલશે, જોકે પીસીબી આનાથી ખુશ નથી.



પીસીબી સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યુ કે આઇપીએલ એક ડૉમેસ્ટિક ટૂર્નામેન્ટ છે, અને આને આઇસીસી ટૂર્નામેન્ટ કે દ્વીપક્ષીય સીરીઝ પર પ્રાથમિકતા નથી આપવામાં આવી શકતી, પાકિસ્તાન આવા કોઇપણ પગલાનુ સમર્થન નહીં કરે.

ખાસ વાત છે કે એશિયા કપ અને ટી20 વર્લ્ડકપને સ્થગિત કરવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીસીબી પણ ક્રિકેટ એક્ટિવિટી શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.