રાજકોટઃ રાજકોટ રમાયેલી રણજી ટ્રૉફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળની ટીમને હરાવીને પહેલીવાર ટ્રૉફી પર કબજો જમાવી દીધો છે. મેચમાં પહેલી ઇનિંગની લીડના આધારે પાંચમા દિવસના અંતે સૌરાષ્ટ્રની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે. જયદેવ ઉનડકટની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે પહેલી વાર રણજી ટ્રોફી જીતી લીધી છે.  રણજી ટ્રોફી ફાઈનલના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના 425 રનના સ્કોર સામે પશ્ચિમ બંગાળ 381 રનમાં ઓલઆઉટ થઈ જતાં સૌરાષ્ટ્રને પહેલા દાવમાં 44 રનની લીડ મળી હતી.


જ્યારે બીજી ઇનિંગમાં મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે 4 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા, અંતિમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પ્રથમ ઇનિંગની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમ વિજેતા બની છે. રણજી ટ્રોફીના નિયમ પ્રમાણે મેચનું પરિણામ ના આવે એ સંજોગોમાં પહેલા દાવની લીડના આધારે વિજેતા જાહેર થતા હોય છે એ જોતાં સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન બની છે.



આ અગાઉ પશ્ચિમ બંગાળની ટીમે પહેલા દાવમાં લીડ મેળવવા માટે છેલ્લા દિવસે 68 રન કરવાના હતા જ્યારે તેની ચાર વિકેટો બાકી હતી. જો કે જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શાનદાર બોલિંગ કરીને પશ્ચિમ બંગાળની છેલ્લી ચાર વિકેટો રનમાં પાડી દેતાં બંગાળ લીડ નહોતું મેળવી શક્યું. સેમી ફાઈનલમાં જોરદાર બેટીંગ કરીને પશ્ચિમ બંગાળને લીડ અપાવનારા અનુસ્તુપ મજુમદારને સસ્તામાં આઉટ કરીને ઉનડકટે બંગાળના પતનની શરૂઆત કરી હતી. એ પછી ઉનડકટે શાનદાર ફિલ્ડિંગ કરીને આકાશદીપને રનઆઉટ કરીને બંગાળની લીડ મેળવવાની આશા ખતમ કરી દીધી હતી.